પૃષ્ઠ:Anashakti Yog.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે મનુષ્ય દ્વેષ નથી કરતો અને ઇચ્છા નથી કરતો તેને સદાનો સંન્યાસી જાણવો. કારણ કે હે મહાબાહો ! જે સુખદુઃખાદિ દ્વંદ્વથી મુક્ત છે તે સહેલાઈથી બંધનમાંથી છૂટે છે. ૩.

નોંધ :- મતલબ કે કર્મનો ત્યાગ એ સંન્યાસનું ખાસ લક્ષણ નથી, પણ દ્વંદ્વાતીત થવું એ જ છે. - એક મનુષ્ય કર્મ કરતો હોય છતાં સન્યાસી હોય. બીજો કર્મ ન કરતો છતો મિથ્યાચારી હોય. જુઓ અધ્યાય ૩, શ્લોક ૬.

સાંખ્ય અને યોગ - જ્ઞાન અને કર્મ - એ બે નોખાં છે, એમ અજાણ લોકો કહે છે, પંડિતો નથી કહેતા. એકમાં પણ સારી રીતે સ્થિર રહેનાર બન્નેનું ફળ મેળવે છે. ૪.

નોંધ : લોકસંગ્રહરૂપી કર્મયોગનું જે વિશેષ ફળ છે તે જ્ઞાનયોગી સંકલ્પમાત્રથી પામે છે. જ્યારે કર્મયોગી પોતાની અનાસક્તિને લીધે બાહ્યકર્મ કરતો છતો જ્ઞાનયોગીની શાંતિ સહેજે ભોગવે છે.

જે સ્થાન સાંખ્યમાર્ગી પામે છે તે જ યોગી પણ પામે છે. જે સાંખ્ય અને યોગને એકરૂપે જુએ છે તે જ ખરો જોનારો છે. ૫.

૫૭