પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે મહાબાહો! કર્મયોગ વિના કર્મસંન્યાસ કષ્ટ્સાધ્ય છે, પણ સમત્વવાળો મુનિ શીઘ્રતાથી મોક્ષ પામે છે. ૬.

જેણે યોગ સાધ્યો છે, જેણે હૃદય વિશુદ્ધ કર્યું છે, અને જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યાં છે તેમ જ જે ભૂતમાત્રને પોતાના જેવાં જ સમજે છે એવો મનુષ્ય કર્મ કરતો છતો તેનાથી અલિપ્ત રહે છે. ૭.

જોતાં, સાંભળતાં, સ્પર્શ કરતાં, સૂઘતાં, ખાતાં, ચાલતાં, સૂતાં, શ્વાસ લેતાં, બોલતાં, છોડતાં કે લેતાં, અને આંખ ઉઘાડતાં-મીચતાંયે, કેવળ ઇન્દ્રિયો જ પોતાનું કાર્ય કરે છે એવી ભાવના રાખીને તત્ત્વજ્ઞ યોગી એમ સમજે કે 'હું કંઈ જ કરતો નથી.' ૮–૯.

નોંધ : જ્યાં લગી વાસના ને દેહાભિમાન છે ત્યાં લગી આવી અલિપ્ત સ્થિતિ નથી આવતી. તેથી વિષયાસક્ત મનુષ્ય 'વિષયો હું નથી ભોગવતો; ઇન્દ્રિયો પોતાનું કામ કરે છે,' એમ કહી છૂટી નથી શકતો. એવો અનર્થ કરનાર નથી ગીતા સમજતો કે નથી ધર્મ જાણતો. આ વસ્તુને નીચેનો શ્લોક સ્પષ્ટ કરે છે.

૫૮