પૃષ્ઠ:Anashakti Yog.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્મબંધન બાંધે છે અને છતાં સારાંમાઠાં ફળનો આરોપ ઈશ્વર પર મૂકે છે, એ મોહજાળ છે.

પણ આત્મજ્ઞાન વડે જેમના અજ્ઞાનનો નાશ થયો છે તેમનું તે સૂર્યના જેવુ, પ્રકાશમય જ્ઞાન પરમતત્ત્વનાં દર્શન કરાવે છે. ૧૬.

જ્ઞાન વડે જેમનાં પાપ ધોવાઈ ગયાં છે તેવા, ઈશ્વરનું ધ્યાન ધરનારા, તન્મય થયેલા તેનામાં સ્થિર રહેનારાં, તેને જ સર્વસ્વ માનનારા લોકો મોક્ષ પામે છે. ૧૭.

વિદ્વાન અને વિનયવાન બ્રાહ્મણને વિશે કે ગાયને વિશે, મોટા હાથીને વિશે, કે કૂતરાને વિશે તેમ જ કૂતરાને ખાનાર ચાંડાળ વિશે જ્ઞાનીઓ સમદૃષ્ટિ રાખે છે. ૧૮.

નોંધ : એટલે કે સહુ તેમની આવશ્યકતા પ્રમાણે કશા ભેદભાવ વગર સેવા કરે છે. બ્રાહ્મણ અને ચાંડાળની પ્રત્યે સમભાવ રાખવો એટલે બ્રાહ્મણને સર્પ કરડે તો તેનો દંશ જેમ જ્ઞાની સમભાવથી ચૂસીને તેને વિષમુક્ત કરવાનો પ્રયત્ન કરશે તેમ જ ચાંડાલને વિશે પણ તેવી સ્થિતિમાં વર્તશે.

૬૧