પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૦. છુટકારાની લાગણી

જુદા પડતાં શિવરાજે પાછળ બે વાર નજર નાખી. શિવરાજને એ અજવાળી ત્રણ મહિનાની રાત પૂર્વેની અજવાળીથી જુદું જ માનવી લાગી. એણે ત્યાંથી વિદાય લીધી ત્યારે, પોતાનું કશુંય વાતાવરણ પોતે મૂકતો જતો નથી, તેમ આંહીંથી પોતે કશી સુવાસનો એક શ્વાસ પણ નથી લઈ જતો — એની પોતે ખાતરી કરી.

બહાર નીકળીને પોતે પોતાની જાતને તપાસવા લાગ્યો : આ ખેદ, આ દિલગીરી અને આ હતાશાની લાગણી અંધકારનાં મોતી-શાં ચમકવાને બદલે ડોળાયેલાં પાણી-શાં કેમ લાગે છે ? શું હું ખરેખર દિલગીર છું ? — કે કાંઈ પાઠ ભજવી રહ્યો છું ? અજવાળી મારા પ્રત્યે ઠંડીગાર બની ગઈ તે મને ગમી જતું દેખાય છે. અજવાળીએ મને છોડ્યો છે. એનું મન બીજે ક્યાંક ઢળ્યું લાગે છે. મુક્તિ મારે જોઈતી હતી ? — કે અજવાળીએ મને વણજોઈતી આપી છે ? હું તો એને એ જેવી હોત તેવી વેંઢારત. લાગણીથી નહીં તો સ્વધર્મની વૃત્તિથી હું એનો સ્વામી બનત. પણ અજવાળી પોતે જ મને છોડતી હોય તો ? તો છુટાય કે કેમ ? અજવાળી અકારી બની હોય, પ્રેમવિહોણી થઈ ચૂકી હોય, તો પછી મારાથી એને પરણાય કે કેમ ?

સરસ્વતી તરફ જવાનો પંથ પાધરો અને પુષિત બનતો જાય છે કે શું ? અજવાળી સાથેના ઘરસંસારની જે ઝાંખી થઈ તે તો ભયાનક હતી. એથી ઊલટું, સરસ્વતી જોડેનો સંસાર આજથી જ કેરીના અથાણાની સોડમે ફોરતો હતો.

અદાલતના રસભર્યા મુકદ્દમાઓ કોની સાથે ચર્ચા શકાશે ? સરસ્વતી સાથે. અજવાળીની એ તાકાત નથી.

હું પૂરો બેવકૂફ હતો. મેં મારા બાપના યુગનો પલટો વિચાર્યો જ નહીં. આ જમાનામાં જુવાન હૃદયોને અજવાળીઓ – ગમે તેટલી પ્રેમાળ છતાં, સુંદર છતાં અને ગ્રામ્ય સરલતાની મૂર્તિઓ છતાં — નહીં સંતોષી શકે. અજવાળીઓનાં તો કાવ્ય જ સુંદર; સહજીવન એનાં સુંદર ન હોય.

વળતે દિવસે પોતે સંચાલકબાઈને એકલો મળ્યો. અજવાળી કોણ છે, પોતે એને શા સંબંધી થાય છે… વગેરે વાતો નીકળી. શિવરાજે ઓળખાણ બનાવી કાઢી કે, “હું જમીનદાર છું : મારા ખેડુની પુત્રી છે :એનો પિતા વિફરી ગયો છે : છોકરીને પિતાના ત્રાસમાંથી બચાવવા આંહીં રાખેલ છે, ને હું મુંબઈ આવ્યો હતો તેથી મારી એ આશ્રિતાને મળવાની તક લીધી છે.”

“એને પરણાવી દેવાની જરૂર છે.” સંચાલક-સ્ત્રીએ સૂચક ટકોર કરી.

“એને પોતાને તમે પૂછ્યું છે ? શું કહે છે ?” શિવરાજને એક એવું પગથિયું જડ્યું કે જેના ઉપર ચડીને પોતે અજવાળીના મનની રસાવસ્થા નિહાળી શકે.

“એ તો ‘નથી પરણવું, નથી પરણવું’ કરે છે, પણ એના રંગઢંગ બધા પરણવાની ઈચ્છાવાળા જ છે.”

“એ કોઈનું નામ લ્યે છે ?” શિવરાજ પૂછતો પૂછતો કંપ્યો.

“કોઈનું નહીં.”

“ચિંતાતુર રહે છે ?”

૬૯