પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હજાર અમાનુષી જાપાનીઓને એકેએક સૈનિકે પોતાનું લોહી પોવરાવેલું.

એ ઝપાઝપી તો છેક ૧૯૨૦ ની સાલ સુધી ચાલેલી. એ ‘ધર્મ સેના’ ની વાત આપણે વાંચી ગયા. કોરીયાની ભુજાનો જાપાનને અચ્છો પરિચય થઈ ચુક્યો હતો.

પણ કોરીયામાં એક ડાહ્યો વર્ગ મનન કરતો બેઠો હતો. એ શાણા પ્રજાજનો સમજતા હતા કે શસ્ત્રહીન કોરીયા જાપાનની તોપો–બંદુકો સામે ન ટકી શકે. એની મુરાદ તો એ હતી કે જાપાની તોપો–બંદુકો ઉખેડી નાખતા પહેલાં, જાપાની સંસ્કૃતિનું વિષ દેશના કાળજામાંથી કાઢવું પડશે, કોરીયાની પુરાતન સંસ્કૃતિની જગતને પિછાન દેવી પડશે, દેશે દેશના હૈયામાં અનુકમ્પા જગાડવી પડશે.

આ ધૈર્યવાન પુરૂષોએ આત્મ–બળ સજવા માંડ્યું.

મહાયુધ્ધે જગતમાં કઈ પ્રજાને નથી જગાડી ? વરસેલ્સના માંચડા પરથી છુટી નીકળેલા, અમેરિકન હાકેમના સ્વાધીનતાના સંદેશા કયા ગુલામને નથી પહોંચ્યા ? કોરીયાના મનોરથો પણ વીલ્સનનાં વાક્યોએ જગાડ્યા. કોરીયા પોતાને ઇન્સાફ મળવાની આશાએ આતુર બનીને બેઠું.

૫૦