પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંદીઓ પૂતના ઘરબાર સ્વચ્છ નથી રાખતા ને બહુ મેલા રહે છે એ આળ વખતોવખત મૂકવામાં આવતું. આ આળને નાબુદ કરવા આરંભમાં કોમના મુખ્ય ગણાતા માણસોના ઘરોમાં તો સુધારા થઇ જ ગયા હતા. પણ ઘરોઘર ફરવાનું તો જયારે ડરબનમાં મરકીના પ્રવેશનો ભય લાગ્યો ત્યારે શરૂ થયું. આમાં મ્યુનીસિપાલીટીના અમલદારોનો પણ ભાગ હતો અને એમની સંમતિ હતી. અમારી મદદ મળવાથી તેમનું કામ હળવું થયું ને હિંદીઓને ઓછી હાડમારી વેઠવી પાડી. કેમ કે, સામાન્ય રીતે જયારે મરકી ઈત્યાદિના ઉપદ્રવ થાય ત્યારે અમલદારો ઘંઘા થાય છે, વધારેપડતા ઉપાયો યોજે છે, ને તેમની નજરમાં જેઓ અળખામણા હોય તેઓની ઉપર તેમનો દાબ અસહ્ય થઇ પડે એવો નીવડે છે. આ સખતીમાંથી કોમ પોતાની મેળે જ ચાંપતા ઉપાયો લેવાથી ઊગરી ગઈ.

મને કેટલાક કડવા અનુભવો પણ થયા. મેં જોયું કે, સ્થાનિક સરકાર પાસે હકોની માગણી કરવામાં જેટલી સહેલાઈથી હું કોમની મદદ લઇ શકતો હતો, તેટલી સહેલાઈથી લોકોની પાસે તેમની ફરજ અદા કરાવવાના કામમાં મદદ મેળવી શક્યો નહિ. કેટલીક જગ્યાએ અપમાન થતાં, કેટલીક જગ્યાએ વિનયપૂર્વક બેદરકારી બતાવવામાં આવતી. ગંદકી સાફ કરવાની તકલીફ લેવી એ વસમું લાગતું. પૈસા ખરચવાનું તો બને જ કેમ ? લોકોની પાસેથી કંઈ પણ કામ કરાવવું હોય તો ધીરજ રાખવી જોઈએ એ પાઠ હું વધારે સારી રીતે શીખ્યો. સુધારાની ગરજ રહી સુધારકને પોતાને; જે સમાજમાં તે સુધારો ઈચ્છે છે ત્યાંથી તો તેણે વિરોધની, તિરસ્કારની ને જાનના જોખમની પણ આશા રાખવી રહી. સુધારક જેને સુધારો માને તેને સમાજ કુધારો કાં ન માને ? અથવા કદાચ કુધારો ન માને તોપણ તે તરફ ઉદાસીન કાં ન રહે ?

આ આંદોલનનું પરિણામ એ આવ્યું કે, હિંદી સમાજમાં ઘરબાર સ્વચ્છ રાખવાની અગત્યનો ઓછાવત્તા પ્રમાણમાં સ્વીકાર થયો. અમલદારવર્ગ આગળ મારી શાખ વધી. તેઓ સમજ્યા કે, મારો ધંધો માત્ર ફરિયાદો જ કરવાનો અથવા હકો જ માગવાનો નહોતો; પણ ફરિયાદ કરવામાં કે હકો માગવામાં હું જેટલો દઢ હતો તેટલો જ આંતરિક સુધારણાને સારું પણ ઉત્સાહી ને દઢ હતો.