પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંદુસ્તાન પહોંચ્યા પછી થોડો સમય ફરવામાં ગાળ્યો. આ સને ૧૯૦૧ની સાલ હતી. એ વર્ષની મહાસભા કલકત્તે હતી. દીનશા એદલજી વાચ્છા પ્રમુખ હતા. મારે મહાસભામાં તો જવાનું હતું જ. મહાસભાનો મારો આ પહેલો અનુભવ હતો.

મુંબઈથી જે ગાડીમાં સર ફિરોજશા નીકળ્યા તે જ ગાડીમાં હું ગયો હતો. તેમની સાથે મારે દક્ષિણ આફ્રિકા વિષે વાત કરવાની હતી. મને તેમના ડબ્બામાં એક સ્ટેશન લગી જવાની આજ્ઞા હતી. તેમણે તો ખાસ સલૂન રોક્યું હતું. તેમના બાદશાહી ખરચથી ને દમામથી હું વાકેફ હતો. જે સ્ટેશને તેમના ડબ્બામાં જવાની મને આજ્ઞા હતી તે સ્ટેશને હું ગયો. તેમના ડબ્બામાં એ વખતે તે વેળાના દીનશાજી અને તે વેળાના ચીમનલાલ સેતલવાડ શેઠ બેઠા હતા. તેમની સાથે રાજ્યપ્રકરણ ચાલી રહ્યું હતું. મને જોઈને સર ફિરોજશા બોલ્યાઃ 'ગાંધી, તમારું કામ સરવાનું નથી. તમે કહેશો તે ઠરાવ તો અમે પાસ કરી દઈશું, પણ આપણા દેશમાં જ આપણને શા હક મળે છે? હું તો માનું છું કે જ્યાં લગી આપણા દેશમાં આપણને સત્તા નથી ત્યાં લગી સંસ્થાનોમાં તમારી સ્થિતિ સુધરી નહીં શકે.'

હું તો આભો જ થઈ રહ્યો. સર ચીમનલાલે ટાપશી પૂરી. સર દીનશાએ મારી સામે દયામણી નજરે જોયું.

મેં સમજાવવા કઈંક પ્રયત્ન કર્યો. પણ મુંબઈના બેતાજ બાદશાહને મારા જેવો શું સમજાવી શકે? મને મહાસભામાં ઠરાવ રજૂ કરવા દેશે એટલાથી મેં સંતોષ માન્યો.

'ઠરાવ ઘડીને મને બતાવજે હોં, ગાંધી!' સર દીનશા વાચ્છા મને ઉત્તેજન દેવા બોલ્યા.

મેં ઉપકાર માન્યો. બીજે સ્ટેશને જેવી ગાડી ઊભી રહી તેવો હું ભાગ્યો ને મારા ડબ્બામાં પેસી ગયો.

કલકત્તે પહોંચ્યા. શહેરીઓ પ્રમુખ વગેરે નેતાઓને ધામધૂમથી લઈ ગયા. મેં કોઈ સ્વયંસેવકને પૂછ્યું, 'મારે ક્યાં જવું?'

તે મને રિપન કૉલેજમાં લઈ ગયો. તેમાં ઘણા પ્રતિનિધિઓનો સમાસ હતો. મારે સદ્ભાગ્યે, જે વિભાગમાં હું હતો તેમાં જ લોકમાન્યનો પણ