પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માગણી કરનારો હું, પણ બોજો ઉપાડનાર મગનલાલ ગાંધી.

મારો ધંધો તો ઘણે ભાગે તંબૂમાં બેસી 'દર્શન' દેવાનો અને અનેક યાત્રાળુઓ આવે તેમની સાથે ધર્મની અને એવી બીજી ચર્ચાઓ કરવાનો થઈ પડ્યો. દર્શન દેતાં હું અકળાયો. તેમાંથી એક મિનિટની ફુરસદ ન મળે. નાહવા જાઉં તોયે દર્શનાભિલાષી મને એકલો ન છોડે. ફળાહાર કરતો હોઉં ત્યારે તો એકાંત હોય જ ક્યાંથી? તંબૂમાં ક્યાંયે હું એક ક્ષણને સારુ પણ એકલો બેસી નહોતો શક્યો. દક્ષિણ આફ્રિકામાં જે કંઇ સેવા થઈ શકી હતી તેની આટલી ઊંડી અસર આખા ભરતખંડમાં થઈ હશે તે મેં હરદ્વારમાં અનુભવ્યું.

હું તો ઘંટીના પડની વચ્ચે પિસાવા લાગ્યો. છતો ન હોઉં ત્યાં ત્રીજા વર્ગના મુસાફર તરીકે અગવડો ભોગવું, જ્યાં ઊતરું ત્યાં દર્શનાર્થીના પ્રેમથી અકળાઉં. બેમાંથી કઈ સ્થિતિ વધારે દયાજનક હશે એ કહેવું ઘણી વાર મારે સારુ મુશ્કેલ થઈ પડ્યું છે. દર્શનાર્થીના પ્રેમના પ્રદર્શનથી મને ઘણી વેળા ક્રોધ આવ્યો છે ને મનમાં તો તેથીયે વધારે વેળા બળ્યો છું, એટલું જાણું છું. ત્રીજા વર્ગની હાડમારીથી મને અગવડ પડી છે, પણ ક્રોધ ભાગ્યે જ છૂટ્યો છે, અને એથી મારી તો ઉન્નતિ જ થઈ છે.

આ સમયે મારામાં હરવાફરવાની શક્તિ ઠીક હતી, તેથી હું ઠીક ઠીક ભટકી શક્યો હતો. તે વખતે એટલો પ્રસિદ્ધ નહોતો થયો કે રસ્તાઓમાં ફરવાનું ભાગ્યે જ બની શકે. ભ્રમણમાં મેં લોકોની ધર્મભાવના કરતાં તેમનું બેબાકળાપણું, તેમની ચંચળતા, પાખંડ, અવ્યવસ્થા બહુ જોયાં. સાધુઓનો રાફડો ફાટ્યો હતો. તે કેવળ માલપૂડા ને ખીર જમવાને જ જન્મ્યા હોય એવા જણાયા. અહીં મેં પાંચ પગાળી ગાય જોઈ. હું તો આશ્ચર્ય પામ્યો. પણ અનુભવી માણસોએ મારું અજ્ઞાન તરત દૂર કર્યું. પાંચ પગાળી ગાય તો દુષ્ટ લોભી લોકોનું બલિદાન હતું. આ ગાયની કાંધમાં વાછરડાના જીવતા પગ કાપીને, કાંધને છેદી તેમાં તે ચોંટાડી દેવામાં આવતા હતા, ને આ બેવડી ઘાતકી ક્રિયાનું પરિણામ અજ્ઞાની લોકોને ધૂતવાને સારુ વાપરવામાં આવતું હતું. પાંચ પગાળી ગાયનાં દર્શન કરવા ક્યો હિંદુ ન લલચાય? તે દર્શનને સારુ તે જેટલું દાન દે તે થોડું.

કુંભનો દિવસ આવ્યો. મારે સારુ એ ધન્ય ઘડી હતી. હું યાત્રાની