પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

સામે બે પુસ્તકનો વિચાર કરેલો તેમાંનું એક મેસ્મરીઝમ બાબતનું પ્રાણવિનિમય એ નામથી છપાઈ કરી તૈયાર થયું છે. લખતાં તો એક માસ જ લાગ્યો, પણ છપાતાં બંધાતાં ૩ લાગ્યા! હજુ બહાર પડયું નથી. બીજું, ધર્મવિચાર સંબંધી તેનું નામ સિદ્ધાંતસાર રાખી લખવા માંડ્યું છે. નવરાત્રીની દ્વિતીઆને દિવસ આરંવ્યું હતું તે એકદમ ૫-૭ દિવસમાં ૨ પ્રકરણ લખ્યાં; પણ પછી બંધ રાખવું પડ્યું છે. એ ગ્રંથો બાબતના વિચારમાં મન એવું ગુંચવાયું છે કે જાણે એક ભૂત વળગ્યું હોય તેમ રાતે પણ સ્વપ્નાં એનાં જ આવે છે ને એની જ ગોઠવણો થાય છે. શરીરના વ્યાધિ જેવો આ બીજો મનનો આધિ ઊભો થયો છે પણ તે પુસ્તક લખાઈ પુરૂં થઈ છપાઈ રહે ત્યારે જ હવે તો મટે! શરીરમાં શક્તિ નથી. બાકી એ લખી કાઢવું તે કામ તો ૧ માસ કરતાં વધારે વખતનું નથી. ઈશ્વરેચ્છા! પ્રિયંવદાને, તબીઅતને લીધે, ૨ માસ બંધ રાખ્યું હતું તે પાછું ચલાવ્યું છે, એ પણ એક વધારામાં છે. હશે, મારો દેહ પડો, મને ગમે તે થાઓ, પણ મેં જે ભગીરથ પ્રયત્ન મારા આર્યધર્મના ઉદ્ધારાર્થે આદર્યો છે તે કાંઈ પણ બીજ રૂપે જમીનમાં ચોટે તો કૃતાર્થતા છે. ચિન્હો પણ સારાં જણાય છે. પુનેથી કોઈ દક્ષણી મારો ભક્ત જ થઈ મને મળી ગયો. એક વડોદરાનો દક્ષણી પ્રેમજીવન વાંચી આનંદમાં આવી મારું જ સ્મરણ કરે છે. કોઈ વૃદ્ધ ધર્મિષ્ઠો ગામ ગામથી પત્ર લખે છે કે મળવા આવવા કહે છે. સુધારાવાળામાંના પણ જીજ્ઞાસુ હોય તે મને પુછે છે કે મારાં પુસ્તક વાંચે છે. એ બધાં સંતોષકારક ચિન્હ છે. ગુજરાતમાં તો સારી પેઠે, બધા હિંદુસ્તાનમાં પણ ઠીક રીતે, અને છેક યુરોપ અમેરિકામાં પણ આશાજનક રીતે આ સંબંધમાં મારું નામ જાણમાં આવેલું છે. અસ્તુ.