પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

વસુલ લેવાના છે.

છોટુ સાથેના સંબંધમાં તેની સ્ત્રી રામલક્ષ્મીનો ને મારો સંબંધ પણ અતિ ગાઢ બંધાયો છે. મને વારંવાર એમ મનમાં આવે છે કે થીઓસોફીના ઈસોટેરિક સેક્શન યાને ઈસ્ટર્ન સ્કુલમાંનું પ્રથમ અને દ્વિતીય ડીગ્રીમાં ગયા પછી મારે આવું ન રાખવું જોઈએ – સ્ત્રીસંસર્ગ જ તજવો જોઈએ – જો કે એવી બાંધણી તો છે જ નહિ – પરંતુ હું ગમે તેવો યત્ન મનને ઉઠાવી લેવાનો કરું છું તો પણ મને કશું ઓછું એ બે જણ આવવા દેતા નથી; મારી ગૃહિણી જ હોય એ રીતે રામ વર્તે છે, હું પણ હાલ તુર્ત એમ સમજીને નીભાવું છું કે ગૃહિણી હોત જ તો નીભાવવી પડત જ. મારા મનની વાસના પણ છેક નિર્મૂલ થઈ નથી, જો કે તેમ કરવા પ્રતિ પ્રયત્ન છે, તે એવો કે બનતા લગી વાસના દાબવી, ને ન ચાલે ત્યારે વડોદરે રામને મળી આવવું. એમ કરતાં મન વધારે શાંત પડશે – આટલી આ જ બાબતમાં હવે આટલું પણ વિહ્વળ રહ્યું છે એટલે મૂકી દેઈશ – એ લોકોને આ સંબંધમાં સ્વાર્થ હશે કે નહિ તે પરીક્ષા કરવા મેં ઘણા પ્રયોગ કરી જોયા પણ મારે હજુ સુધી તો એમ જ કહેવું પડે છે કે કેવલ પ્રેમનો જ આ ઉપહાર છે અને એવા ઉપહારના ઉપભોગમાં હું પાપ માનતો નથી – પ્રેમનો અર્થ જ અભેદ છે. આ સંબંધમાં મને દ્રવ્યહાનિ થાય છે. આજ સુધી લગભગ બસો થયા હશે, પણ તે તે લોકો ખાસ માંગતા નથી.

વ્યવહારમાં વડોદરાનું કામ ચાલતું છે. ત્યાંથી વળી જ્ઞાનમંજુષાનું કામ મળેલું છે. કચ્છનું ચાલતું છે, અમેરિકાવાળું બંધ પડ્યું છે, તો પણ પ૦૦)ની આવક માસિક છે. માંડુક્ય થઈ રહ્યું તે છપાય છે. રૂ ૩૫૦) આવી ગયા. સોસાઈટનું લોજીક લખાય છે. સુદર્શન ચાલે છે. બીજો આધ્યાત્મિક અભ્યાસ પણ ચાલે છે. પંજાબ યુનીવર્સીટીમાં ૧૮૯૨માં પરીક્ષક હતો; વળી ૧૮૯૩ માટે નીમાયો છું. મુંબઈ યુનીવર્સીટીમાં આ વર્ષ અરજી કરી છે. મ્યુનીસીપાલીટીમાં છ માસ મેનેજીંગ કમીટી, અને સ્કુલ કમીટીનો બારમાસ ચેરમેન છું. ઉપાધિ વધી છે, પણ વૃત્તિ સારી ચાલે છે.