પૃષ્ઠ:Atmavruttanta.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૫૯
 

એટલા ફાટ્યા ને તે સર્વની અવસ્થા સામું પણ ન જોવાય એવી ભયંકર થઈ. દાક્તરોની વૈદોની હજારો દવા થયાં ગઈ પણ આરામ ન થયો. આખરે કોઈ દાક્તરે એમ પણ કહ્યું કે પગ કાપી નાખીએ. આમ દોઢ વર્ષ હું પીડાયો, આખરે થાકીને રસકપુરની માત્રા એક દેશી વૈદ પાસેથી ખાધી ત્યારે આરામ થયો. તે સન ૧૮૮૪ના આરંભમાં થયો એમ યાદ છે. તે વેળે લેવડાવેલું એ મારું Bust છે તે તે વખતની મારી તબીઅતનો ચીતાર આપી શકશે. પણ બાકીના સમયમાં મારું શરીર ઘણું સારૂં થયું ને ૧૮૮૫ના આરંભમાં હું ગયો તે વેળાનો ફોટોગ્રાફ મારી જે શુભ શરીરસંપત્તિ બતાવે છે તેવી મારા આખા જન્મારામાં થવાની નથી.

મારે સ્ત્રી સંબંધી જે મહાવ્યથા હતી તેની આ વેળે શી અવસ્થા થઈ તે સમજવા જેવી છે. તેનાં લક્ષણ તથા તે પરથી થયેલો મારા મનનો ઉદાસીન ભાવ તો મેં આગળ જણાવેલો છે. એટલે તેની તેવી ને તેવી ચાલ વધારે સ્પષ્ટ થઈ એ સિવાય અને બીજું કહેવાનું નથી. તેને બધું મળી ત્રણચાર વાર હું મુંબઈ લઈ ગયો હતો ને તે દરેક વખત એમ આશાથી કે એક કરતાં બીજી વાર વધારે સુધરશે. તેનાં લક્ષણ ખરાબ હોવાથી તેને એકલી કદાપિ લઈ જવામાં ન આવતી પણ મારા ઘરના સર્વે સાથે આવતાં. પ્રથમવાર તેણે ભૂતપ્રેતના એવા ખેલ કર્યા કે તેથી કંટાળીને મેં નડીયાદ આવી તેના બાપને સોંપી– વળી તેણે મોકલી – મુંબઈ ગયા – પણ ત્યાં ચોરી ને તોફાન બહુ જ માંડયું. આ વેળે જ એ સ્ત્રીને મારવાથી સુધરશે એમ જાણી મેં બેત્રણ વાર સખ્ત માર મારેલો. બાકી પછી આશા મુકીને કદાપિ એ ઉપાય મેં હાથ લીધો નથી. સર્વના મનમાં એમ આશા હતી કે એકાદ પ્રજા થાય તો આ સ્ત્રીને અમારા ઘર પર મમતા લાવી સુધરે; મારી બા એને સુધારવા ઘણો શ્રમ કરતી, તે એનાં અપલક્ષણ મારાથી બનતી મેહેનતે છુપાવતી પણ બાઈ પોતે જ તેવાં ત્યાં કોઈનો શો ઉપાય? સ્ત્રીને ગર્ભ રહ્યો; ને પુત્રનો પ્રસવ થયો તે હાલ હયાત છે.

વળી નડીયાદથી થોડે દિવસે તેમને મુંબઈ આણવામાં આવ્યાં હતાં પણ એનાં એ જ. એનાં માબાપ પણ એને વારંવાર લલચાવી પાછી બોલાવી લેતાં તથા કદાપિ માબાપને ઘેર જઈ બેસે તો તેઓ તેને ખુશીથી ગમે ત્યાં સુધી રાખતા. મારી સાળીના પરણવાને પ્રસંગે મારા સસરાએ ઘણી મેહેનત કરી સમાધાન કર્યું અને અમને સર્વેને મનાવ્યા. પણ આ નઠારી છોકરી તથા તેની માએ તે લાંબું ચાલવા દીધું નહિ. ૧૮૮૩ કે ૧૮૮૪ના મે મહીનામાં