તદ્દન અજાણ્યો-પરાયો-તે વળી આપણા રાજાનો ખાસ મિત્ર થાય! એતે કેમ ખમાય !”
શિયાળના ભાઈએ ખુલાસો કર્યો:– “સમજુ લોકો બીજાની ખાનગી બાબતોમાં માથું મારતા નથી, એ સબંધમાં એક વાંદરાની વાત છે. તે ત્હારા સાંભળવામાં આવી છે ?’
શિયાળ બોલ્યો :–“ના ભાઈ ! એ વાત કેવી છે ?”
તે ઉપરથી એના ભાઈએ નીચે પ્રમાણે વાર્તા કહેવા માંડી:–
ખીલો ખેચનાર વાંદરાની વાત.
અસલના વખતમાં મગધ કરીને એક દેશ હતો. તેમાં સુદત્ત નામનો કઠીયારો રહેતો હતો. તે રોજ જંગલોમાં રખડતો, સારાં સારાં ઝાડ કાપતો અને પછી તેમનાં વ્હેરીને ફાડચાં બનાવતો.
એક દિવસ ત્હેણે એક ઝાડ કાપ્યું અને મધ્યભાગમાંથી તેને વહેરવા માડ્યું, તે ભાગ્યેજ અડધું વ્હેરી રહ્યો હશે, એવામાં સાંજ પડી ગઈ. અંધારૂ ઘોર થઈ જવાથી, ત્હેણે વહેરવાનું કામ બંધ કરી દીધું. પણ તેમ કરતાં પહેલાં વહેરેલા ફાડની ફાટમાં ત્હેણે એક ખીલો ખોસી રાખ્યો. ઝાડ પાછું સપ્પટ થઇ જાય, તો કરેલી મહેનત નકામી જાય. એટલા માટે ખીલાની ફાચર બનાવીને તે ઘેર ગયો. એટલામાં વાંદરાઓનું ટોળું કૂદાકૂદ કરતું તે જગ્યાએ આવી પહોંચ્યું. તેમાંહેથી એક વાંદરાનું બચ્ચું પેલા વહેરેલાં ઝાડની ફાચરપર ચઢી બેઠું અને પોતાની માતાને પૂછવા લાગ્યું:– “મા ! આ ખીલો શું કામ રાખ્યો હશે અહિંં?”