પૃષ્ઠ:Bansari.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩
મુકદ્દમાની વધુ વિગતો

નાવ ડોલે, નાવ ડોલે
સમુદર નાવ ડોલે રે;
નાવ ડોલે, નવા ડોલે
જીવનની નાવ ડોલે રે.
વાસુદેવ શેલત

જેમ જેમ નવીનચંદ્ર મને ખૂની તરીકે પુરવાર કરવા જબરજસ્ત મંથન કરતા તેમ તેમ દિવ્યકાન્ત એ ખૂન કરવામાં મારો કશો જ ઉદ્દેશ નહોતો એમ સાબિત કરાવવા ચાનક રાખતા. મારો મુકદ્દમો ચાલતો. ત્યારે અદાલતમાં માણસો માતાં ન હતાં. નિંદા કરવાની અને નિંદા સાંભળવાની માનવજાતની ટેવને અદાલતો અને વર્તમાનપત્રો બહુ જ પુષ્ટિ આપે છે. લોકોને કોના તરફ લાગણી હતી એ કહી શકાતું નહિ, છતાં મોટે ભાગે ગુનેગાર તરફ જનસમાજની સહાનુભૂતિ રહે છે એટલું તો મને સમજાયું. ભરેલી અદાલતોમાં શાંતિ રાખવી બહુ મુશ્કેલ છે, તથાપિ મારા કેસ વખતે સહુ કોઈ અજબ શાંતિ જાળવી રાખતા.

મારી તરફેણમાં દિવ્યકાન્ત બહુ પ્રયત્ન કરી મારો ખૂન કરવામાં કાંઈ જ હેતુ નહોતો એમ પુરવાર કરાવતા. પરંતુ તેમના પ્રયત્નને હિંમતસિંગ તથા ડૉક્ટરની જુબાનીથી ભારે ધક્કો પહોંચ્યો. એક ચક્રવર્તી બીજા કોઈ ખંડિયા રાજા તરફ જે તુચ્છકાર બતાવે તે તુચ્છકાર દર્શાવી નવીનચંદ્રે દિવ્યકાન્તની સંભાવના એ બે સાહેદોની જુબાની વખતે જમીનદોસ્ત કરી દીધી. હિંમતસિંગને તેમણે કેટલાક સવાલ-જવાબ થઈ રહ્યા પછી પૂછ્યું :

‘ઠીક, હિંમતસિંગ ! હવે હું તમને વધારે ખોટી નહિ કરું. તમે એક બાહોશ પોલીસ અમલદાર છો. તમારી તપાસમાં અનેક ખૂનોની તપાસ થઈ ગઈ હશે. એ બધાં જ ખૂનોનો ઉદ્દેશ તમને અગર કૉર્ટને સમજાયો હોય એવું દરેક વખતે બન્યું છે ?'

દિવ્યકાન્ત ત્વરાથી ઊભા થઈ ગયા અને બહુ જ આર્જવભયાં શબ્દોમાં ન્યાયાધીશને તેમણે કહ્યું :