પૃષ્ઠ:Bansari.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬: બંસરી
 


‘અલ્યા ! આ ખૂન થયું તેની તને કાંઈ ખબર છે ?’

‘બધાંને ખબર છે તેવી મને ખબર છે. આખું ઘર જાણે છે કે બહેનનું ખૂન થયું.' નોકરે છણકાઈને જવાબ આપ્યો.

‘બહેનનો સ્વભાવ બહુ સારો હતો, નહિ ? જ્યોતીન્દ્રે વાત લંબાવી.

‘હતોસ્તો. પણ જેણે ધારીને આ બધું કર્યું તેને શું કરવું?'

‘કોણે ખૂન કર્યું લાગે છે ?’

‘એ મને શી ખબર ?’

'ત્યારે કોને ખબર હશે ?'

‘ખબર બે જણને ! એક ખૂન કરનારને અને બીજી ભગવાનને.’

નોકરે પણ આ વાક્યનો ઉચ્ચાર કરી મારી સામે અર્થભરી દૃષ્ટિ ફેંકી, પાછી ઝડપથી વાળી લીધી. જ્યોતીન્દ્રે તેને પૂછ્યું :

'આ સુરેશ ઉપર બધાંને વહેમ છે, ખરું ?’

‘એ હું કાંઈ કહું નહિ.’ બે કાને હાથ દઈ ઇન્કાર તો હોય એમ નોકરે ચાળો કર્યો.

‘ત્યારે એ કહેનાર કોઈ માણસ છે કે નહિ ?' આટલું પૂછી જ્યોતીન્દ્રે ધીમે રહી પેલા નોકરના હાથમાં બે રૂપિયા મૂકી દીધા.

રૂપિયામાં હૃદયને પિગળાવવાનો ભારે ગુણ રહ્યો છે. તેણે રૂપિયાની અસર નીચે કહ્યું :

‘કોઈક તો હશે જ ને ?' તેના મનથી તે કાંઈ જ હકીકત કહેતો નહોતો. પરંતુ વધારે રૂપિયા આપવાથી વધારે હકીકત મળશે એમ માની જ્યોતીન્દ્રે પાંચ રૂપિયાની નોટ કાઢી નોકરના હાથમાં મૂકી અને પૂછ્યું :

'તો પછી કહે ને, એ કોણ છે ?’

'જેણે જેયું હશે તેસ્તો.'

હું ખરેખર બીન્યો. મને ખૂન કરતાં પણ જોનાર કોઈ નીકળ્યો લાગે છે !

જ્યોતીન્દ્રે કહ્યું :

‘એ જોનાર કોણ ? નામ ભસ ને ?’

‘શંકર કરીને છે. એ જ આવે છે.’ એટલું કહી જાણે કશું બન્યું જ ન હોય તેમ એ નોકર ચાલતો થયો.

જ્યોતીન્દ્ર જડ જેવા બની ગયેલા મારા દેહને જોરથી હલાવ્યો અને મને કહ્યું :

‘જો સુરેશ ! ખૂન તેં કર્યું છે એવું નજરે જોનાર સાક્ષી પણ અહીં છે.’