પૃષ્ઠ:Bansari.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
કોનું ઘર ?

નથી બાગ-બગીચા તણા ઉતારા
દેતા સૌ કોઈ હાથ ઠગારા
નથી દિલ જળ્યાંનાં કોઈ સહારા,
હે જી ! વિકટ આ ભવાટવિની વાટ.
રમણિક મહેતા

ડાળી ઉપરથી હું નીચે પડ્યો એટલું જ માત્ર મને ભાન હતું; ત્યાર પછી શું થયું તેની મને ખબર રહી નહિ. જમીનથી એ ડાળી ઘણી ઊંચી હતી અને મને જ્યોતીન્દ્રની સ્થિતિ માટે એટલો બધો ગભરાટ હતો કે હું ડાળી ઉપરથી પડ્યો ન હોત તોપણ બેભાન થઈ જાત, અને છેવટે તો નીચે પડત જ. આટલી ઊંચાઈએથી કોઈ માણસ પડે અને જીવતો રહે એ માનવા સરખું ન હતું. હું જાગ્યો ત્યારે કોઈ નવી દુનિયામાં ગયો હોઉ એમ લાગ્યું. મૃત્યુ પછી માનવીનો સૂક્ષ્મ દેહ જાણે ભૂતકાળને એક સ્વપ્નની માફક અવલોકતો હોય તેમ મને મારે વિષે લાગ્યું. હું ક્યાં આવ્યો, એની પ્રથમ તો મને સમજ પડી નહિ. પરંતુ ધીમે ધીમે ભૂતકાળ આખો દૃષ્ટિ સમીપ ખડો થઈ ગયો.

એ ભૂતકાળ તરી આવવાનું પ્રથમ કારણ તો વ્રજમંગળાની હાજરી હતી. તેમને જોઈ મને એકદમ જ્યોતીન્દ્ર યાદ આવ્યો. મેં એકદમ પૂછ્યું :

‘મંગળાબહેન ! જ્યોતીન્દ્ર ક્યાં ?'

‘તમે સૂઈ રહો; હમણાં કશો વિચાર કરશો નહિ.’ વ્રજમંગળાએ જવાબ આપ્યો.

‘એની ખબર પહેલી આપો, નહિ તો મારાથી સૂઈ રહેવાશે નહિ.’

‘કહું છું કે હમણાં પહેલાં દવા પી લો.’

‘શાની દવા ? હું તો એને જ્યાં મૂકી આવ્યો છું ત્યાં જાઉં છું.’ એમ કહી મેં બેઠા થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મારાથી બેસી શકાયું નહિ. કોઈ અથાગ અશક્તિ મારા અણુ અણુમાં વ્યાપી ગયેલી લાગી. મેં પૂછ્યું :

‘હું ક્યાં છું ?’