પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧ મું
૧૯૨૧ની યાદ
 


તમે ભલે દૂબળા હો, પણ કાળજું વાઘસિંહનું રાખો; સ્વમાન ખાતર મરવાની તાકાત હૃદયમાં રાખો. કોઈ તમને અંદરઅંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો, એ બે વસ્તુઓ લાખો ખરચતાં તમે મેળવી ન શકો તે આ લડતમાં તમે સહેજે મેળવી રહ્યા છો. તમને સાક્ષાત લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે. તમારાં ધન્યભાગ્ય છે કે સરકારે તમારા ઉપર આ વધારો કર્યો.”

આ બધાં ‘ઉજળિયાત’ કહેવાતી કોમોવાળાં ગામોમાં કરેલાં ભાષણ લીધાં. રાનીપરજ લોકોની આગળનાં એમના ભાષણનો સૂર ઉપર ટાંકેલા ભાષણ કરતાં કંઈક હળવો રહેતો હતો. રાનીપરજ બહેનોની પિત્તળ અને કાંસાંની બંગડીઓ તરફ આંગળી ચીંધીને તેમણે કહ્યું :

“તમારી માલમિલકત જપ્ત કરવા આવે તો તેમને આવકાર આપજો અને તમારી બંગડી કાઢી આપજો અને કહેજો : લો, આ પહેરવી હોય તો ભલે પહેરો. (પુરુષો તરફ વળીને) તમને ભય લાગે છે કે તમને જપ્તી કરવા બોલાવે તો શું કરશો. એ ડર જ કાઢી નાંખો. તમે મરદો છો, દૂબળા નથી. દૂબળો એટલે નબળો અને કાયર અને બાયલો. કાયર અને બાયલા તો તે જ કે જેમનાં હાડકાં ભાંગેલાં છે, અને જેઓ તમારી મહેનતમજૂરી ઉપર આધાર રાખે છે. તમે ખેતરમાં મજૂરી કરો છો, તમે મોટી ગૂણો ઉપાડીને ચાર ગાઉ ચાલ્યા જાઓ છો, તમને કોણ દૂબળા કહે ? એક ગામના પટેલને મહાલકરીએ કહ્યું કે જપ્ત કરેલો માલ ઉઠાવવા વેઠિયા ન મળે તો પટેલને જ માલ ઉપાડવો પડશે. એ પટેલે તુરત એને કહેવું જોઈતું હતું કે ‘એ મારું કામ નથી. વેઠિયા એ કામ કરવા તૈયાર નથી, હુંયે નથી. તમને મોટો પગાર મળે છે સાહેબ, તમે જ એટલું કામ કરી લો તો ?’”

લડતને અંગે આડકતરાં પરિણામો તો એવાં આવી રહ્યાં હતાં કે જેથી લડતની જ્વાળાથી ડરીને લડતને વખોડનારાઓને પણ સંતોષ થાય. આ લડત વિના ‘વર્જિત’ અને ‘અવર્જિત’ (એટલે દારૂ પીનારા અને ન પીનારા) રાનીપરજ બિચારા શી રીતે ભેગા થાત ? હવે તો બંને એકબીજાને ભેટવા લાગ્યા હતા. સ્વચ્છ ખાદી પહેરેલી, રોજ સ્નાન કરતી, મુગ્ધ નિર્મળ બાળાઓ અવર્જિત વર્ગની મૂઢ જેવી મેલીઘેલી દેખાતી બહેનો ઉપર ખૂબ અસર પાડવા લાગી હતી. દારૂડિયાને સ્પષ્ટ પદાર્થપાઠ મળતો

૯૧