પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લોઢું અને હથોડો
 


જણાવ્યું કે કલેક્ટર કહે છે કે લોકોની ભરવાની મરજી છે, છતાં બહારના ચળવળિયાઓના દબાણથી તેઓ ભરી નથી શકતા, એ વાત તદ્દન જૂઠી છે. દબાણ તો સરકારનું થઈ રહ્યું છે, અને તેના પારસી દુકાનદારો જ ભોગો થઈ પડેલા છે. પેલા અમલદારને ઉપરથી કાંઈ સપાટો આવ્યો કે શું થયું, તેના માણસો પાછા દોડ્યા, વાલોડ રાત્રે પહોંચ્યા, દુકાન ખોલી અને દોરાબજી શેઠને દબડાવવા લાગ્યા : ‘દુકાન કેમ નથી ચલાવતા ?’ તે કાંઈ ગાંજ્યા જાય એમ નહોતા જ, તેમણે પણ સીધા જવાબો આપ્યા, એટલે પેલો કાગળ લખવા માટે તથા કલેક્ટર સાહેબ જેવા મોટા સાહેબને જૂઠા પાડવા માટે ‘કાળા કિતાબ’માં તમારું નામ નોંધવામાં આવશે એવી તેમને ધમકી મળી. પણ દોરાબજી શેઠે તો પીઠું ન જ ખોલ્યું, અને જ્યાં સુધી જપ્ત કરેલાં પીપો ન ખસેડવામાં આવે ત્યાં સુધી હું દુકાન ચલાવવા નથી માગતો એમ જણાવ્યું. આ દુકાન ઉપર પાછો હુમલો થયો ! દોરાબજી શેઠની પાસે સરકારમાગણું ૩૦૦ રૂપિયા જેટલું હશે તે માટે રૂા. ૨,૦૦૦નો — રોકડ રૂપિયાની બરાબરનો — દારૂ જપ્ત કર્યો, તેમની દુકાનના બાંકડા વગેરે જપ્ત કર્યા. દુકાન ન ચલાવવાથી તેમને નુકસાન વેઠવું પડ્યું તે ઉપરાંત પાછી ચડાઈ ? પાછી ચડાઈમાં દુકાનની બહાર પડેલાં ખાલી પીપો જપ્ત કર્યા, અને તેમાં પહેલાં જપ્ત કરેલાં પીપોનો દારૂ ભરવા માંડ્યો. એક પીપ કાણું, બીજું કાણું, ત્રીજું કાણું. કેટલોય દારૂ જમીન પર ઢળ્યો ! એની પેલાઓને શી પરવા ? બીજે ક્યાંકથી પીપો લાવ્યા અને તે ભરીને તે દારૂને હરાજ કર્યો. સ્વાભાવિક રીતે આ ઘટનાઓથી ચીડ ચડે. એ ચીડ ન ચડે એટલા ખાતર બીજે દિવસે પત્રિકામાં ઘટના વર્ણન કરનારી નોંધ આવી તેનું મથાળું આ હતું : ‘સાલાં પીપો પણ સ્વરાજમાં ભળ્યાં’ ! ગમે તેવી ઘટનામાંથી વિનોદ કાઢી શકે એવી આ મનોદશાને કઈ સરકાર જીતી શકે ? આ મનોદશા લોકો રોજરોજ વધારે વધારે કેળવતા જતા હતા.

દારૂવાળાઓની સ્થિતિ જરા કઢંગી હતી. તેમને રોજરોજ સરકારી તિજોરીમાં પૈસા મોકલવા પડે. સરકાર એ પૈસા દારૂને

૧૧૧