પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
 


ઊંચ વરણના લોકોને આ રાજતંત્ર કેવા રાક્ષસો બનાવે છે તે તમને મારે દેખાડવું છે.”

અથવા આ :

“આપણી તો એક નાનીસરખી લડત હતી. પણ સરકાર હઠે ભરાઈને તેને મોટું રૂપ આપે છે. જો આજે પ્રજા પોતાની હઠ બરાબર ન પકડે તો સરકાર તેને છૂંદી નાંખશે. પણ પ્રશ્ન જો ખરી હઠ પકડશે તો સરકાર હારી જશે. કદાચ આ તાલુકાના બધા માણસો ખુવાર થાય કે મરી જાય તોયે શું ? ૮૦ હજાર મર્યા કે જીવ્યા તેનો ઈશ્વરની સૃષ્ટિમાં શો હિસાબ છે ? એક મણ ઘઉંનું બી જમીનમાં દટાઈ કોહીને નાશ પામે છે, પણ તેના બદલામાં ખાંડીબંધ ઘઉં પેદા થાય છે; તેમ તમે બારડોલી તાલુકાના ખેડૂતો બી બની ભલે ખુવાર થાઓ, અને ગુજરાતની ખેડૂતઆલમનું કલ્યાણ કરો. આજે તમને લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે એમ સમજો. ફરીફરીને આવો સમય કોઈના ભાગ્યમાં નથી આવતો. તમારે ખેડૂતને ડરવાનું હોય જ નહિ. ડર તો સરકારને હોય — જેને પોતાનું રાજ્ય રાખવું છે; સરકારી અમલદારને હોય — જેને નોકરી ખોઈ બેસવાનો ડર છે.”

અથવા તો અપ્રમત્ત આઠે પહોર જાગૃત સરદારના આ ઉદ્‌ગાર લો :

“તમે મને આરામ લેવા કહો છો, પણ મારે કોઈ આરામ નથી લેવો. છૂટો છું ત્યાં સુધી રાતદિવસ તમારી વચ્ચે રહેવું એ મારો ધર્મ છે. તમને ખબર નહિ હોય પણ મને ખબર છે કે તમારી પાછળ કેટલાં કેટલાં ભૂત ભમી રહ્યાં છે. કઈ વખતે તેઓ તમને વળગી ગાંડા કરશે, કઈ વખતે પાડશે એનું રખવાળું કરવાનો મારો ધર્મ છે. જેણે તાલુકાના રખો હોવાનો દાવો કર્યો છે તેનો ધર્મ સતત સર્વકાળ જાગૃત રહેવાનો છે. તમે મને તાલુકાનો રખો નીમ્યો તો હવે જ્યાં સુધી હું બહાર રહું ત્યાં સુધી મારે સૂવાનું હોય નહિ. મારો ધર્મ પોતે જાગૃત રહી તમને નિરંતર જાગૃત રાખવાનો છે.”