પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪ મું
ન્યાયના ભવાડા
 

 સોમા (ફરિયાદપક્ષનો બીજો સાક્ષી)ની જુબાની ઉપરથી જણાય છે કે ગાંધીવાળાએ મને કહ્યું કે આજે જે કામ તમે કરો છો તેનાં પરિણામ શું આવે છે તે કાલે જોઈ લેજો.” સાક્ષીને ખાસ પૂછવામાં આવ્યું કે કયા ગાંધીવાળા ત્યાં હતા, તેના જવાબમાં તેણે કહ્યું કે ‘ઉં હું જાણું ?’ પ્રોસીક્યુટરની ઈચ્છા તો એવી હશે કે ગાંધીવાળા તરીકે સાક્ષી સન્મુખલાલને બતાવે, પણ એ અભણ માણસ ઇશારો શાનો સમજે ? આરોપીએ તો પોતે ગુનેગાર નથી એમ જણાવ્યું અને કહ્યું કે તેની સામે ઊભો કરેલો મુકદ્દમો જૂઠો છે.

આ પુરાવાને બરાબર છણવાની જરા પણ તસ્દી લીધા વિના મૅજિસ્ટ્રેટે ચુકાદો આપ્યો કે આરોપીએ ઈજા કરવાની ધમકી આપવાનો ગુનો કર્યો છે, અને છ માસની સખત મજૂરી સાથેની કેદની સજા ફરમાવી.

આ મુકદ્દમામાં આપણે એકવાર માની લઈએ કે જેટલી વીગતો નોંધાઈ તેટલી બધી સાચી જ હતી અને ફરિયાદી પણ સાચો જ હતો, પણ તેમાંથી આરોપીની વિરુદ્ધ વધુમાં વધુ એટલો જ નિર્ણય થઈ શકે કે તેણે ફરિયાદીને તથા પટાવાળાઓને સામાજિક બહિષ્કારની ધમકી આપી. (એક સાક્ષીએ તો પોતાની જુબાનીમાં એમ પણ કહ્યું હતું કે થોડા દિવસ તેમનો બહિષ્કાર થયો હતો અને પછી તે બહિષ્કાર કાઢી નાંખવામાં આવ્યો હતો.) પીનલ કોડની ૧૮૯ મી કલમ મુજબ આ ગુનો ગણાઈ શકાય ખરો ? ઈજા એટલે તો કોઈ માણસને ગેરકાયદે કાંઈ નુકસાન પહોંચાડ્યું હોય તે સામાજિક બહિષ્કારને આવી ઈજા ગણી શકાય ? એને ગેરકાયદે ઈજા અથવા તો સાપરાધ ધમકી ગણવાની કાયદો સાફ ના પાડે છે. સામાજિક બહિષ્કાર થશે એટલે શું શું થશે તે બતાવનારો કશો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. એટલે આરોપીની વિરુદ્ધ કરવામાં આવેલી બધી ફરિયાદ સાબિત થયેલી ગણીએ (જોકે કશું સાબિત થયું નહોતું), તોપણ આરોપીને ગુનેગાર ઠરાવવા માટે તથા તેને ચાનક મળે તેવી આકરી સજા ફરમાવવા માટે પૂરતું કારણ નહોતું જ.

૧૯૭