પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


શકો; પરંતુ આ ભાગમાં સરકારની આબરૂ, જેને માટે આટલું બધું કહેવાય છે અને કરાય છે તેવી કોઈ વસ્તુ જ રહી નથી. આબરૂ એ એવી વસ્તુ નથી, જે હુકમ કરવાથી મેળવી શકાય; એ તો પેદા કરવી પડે છે અને એને માટે હમેશાં લાયક બનવું પડે છે. પોતાનાં વહાલાં ઢોર લૂંટાઈ જતાં બચાવવા માટે ૪૦,૦૦૦ સ્ત્રી, પુરુષો અને બાળકો આ ઢોરો સાથે ત્રણત્રણ મહિના થયાં પેાતાનાં નાનાં અને અનારોગ્ય ઘરોમાં પુરાઈ રહ્યાં છે. ખાલી અને નિર્જન થઈ ગયેલાં ગામમાં થઈ ને હું પસાર થયો ત્યારે ત્યાં એક ચકલું પણ ફરકતું નહોતું, માત્ર રસ્તાના અમુક અમુક નાકે લોકોએ પહેરેગીર ગોઠવેલ હતા. રખે જપ્તીઅમલદાર આવતો હોય એવા ભયથી સ્ત્રીઓ બારીઓના સળિયામાંથી કોઈ કોઈ ઠેકાણે નજર કરતી જોવામાં આવતી હતી. જ્યારે તેમની ખાત્રી થઈ કે હું જપ્તીઅમલદાર નહોતો ત્યારે તેમણે પોતાના મકાનનાં બારણાં ઉઘાડ્યાં અને મને અંદર લીધો. જ્યારે મેં એ ઘરમાંનું અંધારું, છાણ, વાશીદું અને દુર્ગંધ જોઈ, જપ્તીઅમલદારાની નિષ્ઠુરતાનો ભોગ થવા દેવા કરતાં રોગથી પીળાં પડી ગયેલાં, ચાંદાંવાળાં દુ:ખી એવાં પોતાનાં પ્રિય ઢોરો સાથે એક જ ઓરડામાં ગોંધાઈ રહેવું બહેતર સમજતાં સ્ત્રી, પુરુષો અને બાળકોની પોતાનાં વહાલાં ઢોર ખાતર હજી પણ લાંબા સમય આ કારાગૃહવાસ સ્વીકારી લેવાની દૃઢ પ્રતિજ્ઞા સાંભળી, ત્યારે મારે વિચારવું જ પડ્યું કે જપ્તીની આ નિષ્ઠુર નીતિની કલ્પના કરનારને, એનો અમલ કરનારની કડકનોને, અને એની મંજૂરી આપનાર રાજનીતિનો જોટો મધ્યકાલીન યુગના ઇતિહાસનાં પૃષ્ઠો સિવાય બીજે ક્યાંય જડવો મુશ્કેલ છે.”

આ પછી તેઓ ‘વધુમાં વધુ દુ:ખ ફેલાવવાના’ નિશ્ચયવાળા ‘વેરી વિજેતા’ઓની પદ્ધતિઓનું તેમજ ન્યાયની ઠેકડીના અનેક દાખલાઓનું વર્ણન કરે છે અને કહે છે :

.”“ઉચ્ચ હોદ્દાના અમલદારોની મજાક, કાયદાનો કેવળ અક્ષરાર્થ કરીને ગણવામાં આવતા ગુનાઓ માટે અસાધારણ સખ્ત સજાઓ, ગર્વિષ્ઠ જાહેરનામાંની ગર્જનાઓ તથા સરકારનાં ખાંડાના ખખડાટથી પ્રજામાં ઉપહાસ વિના બીજું કશું નીપજતું નથી.”

પોતાના પત્રના અંતભાગમાં બારડોલીના પ્રશ્ન ઉપર ધારાસભામાં સરકારને મળેલી બહુમતીનું પોકળપણું તેઓ દર્શાવે છે, અને કહે છે કે કોઈ પણ રીતે બહુમતી મેળવીને સરકારે હરકોઈ બંધારણવાદીને સરકાર પક્ષમાં ઊભા રહેવું મુશ્કેલ કરી.

૨૧૨