પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
વિકરાળ કાળિકા
“ઢોર, મિલકત, જમીન બધુ જશે, કાયદા ઊંચા મુકાશે. સરકાર વિકરાળ કાળિકાની પેઠે ઘૂમશે, એની આંખમાંથી ખૂન ઝરશે, એ બધું જીરવવાની શક્તિ હોય તો હિસાબ કરી કાઢીને આવજો.”

નામદાર ગવર્નર તા. ૧૬ મીએ સિમલાથી ઊપડ્યા અને જુલાઈની તા. ૧૮મીએ સવારના સૂરત પહોંચ્યા. સૂરતના કલેક્ટરે બહાર પાડ્યું હતું કે બારડોલીના ખેડૂતો તરફથી લેખી અરજીઓ મળશે તો તેમના બાર પ્રતિનિધિઓને નામદાર ગવર્નરની મુલાકાતની પરવાનગી આપવામાં આવશે. પરંતુ ૧૮ મી સુધી એકે અરજી તેમને મળી હોય એમ જણાતું નથી. ગવર્નરસાહેબ જ્યારે ના. વાઇસરૉય સાથે સિમલામાં મસલત ચલાવી રહ્યા હતા ત્યારે શ્રી. વલભભાઈ પટેલ અમદાવાદની જિલ્લા પરિષદમાં મોટી મેદની સમક્ષ ભાષણ આપી રહ્યા હતા, અને રાવણ જેવા બળિયા સીતા જેવી સતીને સતાવતાં રોળાઈ ગયા હતા એમ સરકારને યાદ દેવડાવતા હતા. આ પરિષદના મંડપમાં જ શ્રી. વલ્લભભાઈને કમિશનર તરફથી આમંત્રણ મળ્યું કે બારડોલી સત્યાગ્રહીઓના બાર પ્રતિનિધિઓ સાથે તેઓ સૂરત મુકામે ગવર્નરસાહેબને મળે. શ્રી. વલભભાઈએ તો ના. ગવર્નરના આમંત્રણને માન આપવાની પોતાની તૈયારી અને સમાધાન કરવાની પોતાની ઇચ્છા ઘણી વખત પ્રદર્શિત કરી જ હતી. એટલે તેમણે આ આમંત્રણ તુરત સ્વીકાર્યું અને તા. ૧૮મીની સવારે તેઓ ના. ગવર્નરને મળ્યા. તેમની સાથે શ્રી. અબ્બાસ તૈયબજી, સૌ. શારદાબહેન મહેતા, સૌ. ભક્તિલક્ષ્મી દેસાઈ, કુમારી મીઠુબહેન પીટિટ અને શ્રી. કલ્યાણજી મહેતા એટલાં લોકોનાં પ્રતિનિધિઓ તરીકે ડેપ્યુટેશનમાં હતાં.

૨૩૨