પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



તાલુકાની સામાન્ય સ્થિતિ

હેલા પ્રકરણમાં જણાવ્યું તેમ ગણોતના આંકડાની કે શુદ્ધતા વિષે તો તેઓ ચોંક્યા, પણ તાલુકાની સામાન્ય હકીકત વિષે પણ તેમને શંકા થવા લાગી. કેટલેક ઠેકાણે તો તેમને તેમના તલાટી જે આંકડા આપતા હતા તેમાંથી જ શ્રી. જયકરે આપેલી હકીકત તોડનારો પુરાવો મળી રહેતો હતો, અને કેટલેક ઠેકાણે તેમની આંખ શ્રી. જયકરના રિપોર્ટની હકીકત ખોટી પાડતી હતી. દાખલા તરીકે મહેસૂલ વધારવાનાં કારણોમાં એક કારણ રસ્તા સુધર્યા છે અને ટાપ્ટી વેલી રેલ્વે નીકળી છે એ આપવામાં આવ્યું હતું. રસ્તા કેટલા સુધર્યા છે એ એમણે આંખે જોયું, અને પોતાના રિપોર્ટમાં લખ્યું :

"રસ્તા સુધાર્યા છે એમ શી રીતે કહી શકાય, જયાં સુધી અગાઉ તે કેવા હતા એ અમે જાણતા નથી ? પણ ત્રણ મહિના આ તાલુકામાં રખડ્યા પછી અમે એટલું તો કહી શકીએ છીએ કે અમને એ રસ્તાઓનો બહુ સુખમય અનુભવ તો નથી જ થયો. જૂના મુખ્ય રસ્તાઓમાંનો એક પણ રસ્તો - સરભોણથી નવસારીનો રસ્તો પણ - સારા રસ્તા તરીકે ન જ વર્ણવી શકાય. ક્યાંક ક્યાંક ઠીક ભાગ આવે છે, પણ ઘણાખરા ભાગ તો એવા છે કે એ રસ્તો એથી જરાક ખરાબ હોય તો એને કોઈ રસ્તાનું નામ જ ન આપે. બળદગાડાં એના ઉપરથી જઈ શકે છે અને મોટર ચાલી શકે છે એટલું જ વધારેમાં વધારે એ રસ્તા વિષે કહી શકાય. ”

રેલ્વે વિષે તો અમે બતાવી ચૂકયા હતા કે ૧૮૯૬ની જમાબંધી થઈ ત્યારે પણ રેલ્વેને ધ્યાનમાં લેવામાં આવી હતી. એ જ વસ્તુ સાહેબોએ નોંધી છે અને જણાવ્યું છે:

“ટાપ્ટી વેલી રેલ્વેથી ખેડૂતોને થતા નફાનુકસાનમાં કંઈ ફેર પડી ગયો છે એવું અમને નથી જણાતું. ”

૩૦૬