પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારમી ફેબ્રુઆરી
 


હવે ખેડૂતોને નવી દિશામાં વિચાર કરવાનું સૂઝ્યું. અત્યારસૂધી સૂઝેલું નહોતું એમ નહિ, પણ ૧૯૨૧ પછીની દેશની પરિસ્થિતિએ કષ્ટસહનના કાર્યક્રમ વિષે તેમની શ્રદ્ધા મોળી પાડી નાંખી હતી અને સત્યાગ્રહના નામથી તેઓ ભડકતા. પણ ધારાસભાના સભ્યોએ તેમને સાફ કહી દીધું કે અમારાથી હવે કશું થાય એમ નથી અને હવે તો તમારે બીજું જે કઈ કરવું હોય તે કરો. ભાઈ કલ્યાણજી અને કુંવરજી — જે બે ભાઈઓનો ગાંધીજીની પાસે ૧૯ર૧ માં સત્યાગ્રહના સ્થાન તરીકે બારડોલીને પસંદ કરાવવામાં મોટો હિસ્સો હતો તેઓ — તાલુકા સમિતિના મંત્રી ભાઈ ખુશાલભાઈ સાથે શ્રી. વલભભાઈ પટેલ પાસે ગયા, અને તેમને બારડોલી આવી ખેડૂતો પાસે સત્યાગ્રહની લડત લડાવવાની વિનંતિ કરી. શ્રી. વલ્લભભાઈએ સાફ ના પાડી, એમ કહીને કે રાવ બહાદુર ભીમભાઈ અને રાવ સાહેબ દાદુભાઈ જેવા નેતા તેમને દોરી રહ્યા છે ત્યાં તેમના કામમાં વચ્ચે પડવું એ પોતાને શોભે નહિ. આ પછી તેઓ પાછા ગયા, પણ આ વેળા તો ધારાસભાના એ સભ્યોની સલાહ અને સંમતિ મેળવીને ગયા. શ્રી. વલ્લભભાઈએ તેમને શાંતિથી સાંભળ્યા, કંઈક આશા આપી અને કહ્યું, ‘તમે પાછા બારડોલી જાઓ, એકલો વધારો નહિ પણ આખું મહેસૂલ ન ભરવાને માટે ખેડૂતો તૈયાર હોય અને તેમ કરીને છેક ફના થવા તૈયાર હોય તો હું આવવા ખુશી છું. પણ તમે આખા તાલુકામાં ફરી વળો અને લોકો શું ધારે છે તે મને તમે ફરી પાછા આવીને જણાવો.”

આ વસ્તુ ૨૦ મી જાન્યુઆરીના અરસામાં બની. કાર્યકર્તાઓ પાસે માત્ર આઠદશ દિવસ બાકી હતા. એટલામાં શું થાય ? પણ તેમણે ન જાણ્યા દિવસ, ન જાણી રાત; તાલુકાના ઘણાખરા કાર્યકર્તાઓને ભેગા કર્યા, અને આખો તાલુકો ફરી વળવાનો કાર્યક્રમ ઘડી, ગાડાંમાં, મોટરબસમાં અને પગે ચાલી અનેક ગામો પોંદી નાંખ્યાં. આઠ દિવસમાં ઘણાંખરાં ગામોના લોકોના અભિપ્રાય જાણી તેમણે પાછી અમદાવાદ કૂચ કરી. આ વખતની ટોળીમાં કલ્યાણજી, કુંવરજી, ખુશાલભાઈ, કેશવભાઈ તો હતા જ; પણ ખેડા, નાગપુર અને બોરસદમાં ખ્યાતિ પામેલા વીર યોદ્ધાઓ

૩૧