પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દીકરો


'રાધાકિસનજી ! તમારે ઘેરે દીકરો આવ્યો. હું ફરીદપુરથી જોઈને ચાલી આવું છું.'

'તું નજરે જોઈને આવે છે બહેન ? મને કહે તો ખરી દીકરાનો ચહેરોમહોરો કેવો, સારો છે ને ?'

'અરેરે ભાઈ, રંગ કાળો અને ચહેરો બેડોળ છે. જાણે પંજાબનું બચ્ચુંજ નહિ તમારૂં એટલું દુર્ભાગ્ય છે. રાધાકિસનજી ! હશે, જેવી પ્રભુની મરજી !'

દિલ્હીનગરમાં પિતા રાધાકિસનજી શિક્ષકની પરીક્ષા માટે તૈયારી કરવા આવી રહેલા હતા, ત્યાં આવીને એક એળખીતી જાટ સ્ત્રીએ બાળ લાજપતનું આવું બયાન આપ્યું, સાંભળીને જુવાન પંજાબી પિતા અફસોસમાં પડી ગયા. કદરૂપ બાળકને માટે એને કંટાળો આવી ગયો. ઈ. સ. ૧૮૬૫ ના જાનેવારી માસની ૨૮ મી તારીખે, ફરીદપુર ગામડાના દુકાનદાર હુકમસિંહજીની એક ઝૂંપડીની અંદર જ્યારે પંજાબના નરશાર્દુલનો પ્રસવ થયો, ત્યારે ઉત્સવ થવાને બદલે સગા બાપના અંતરમાં પણ ગ્લાનિ ઉદ્દભવી ઉત્સવ તો નિર્માયો હતો એના મૃત્યુને માટે. ને મૃત્યુનો ઉત્સવ જ સાચો જીવન-ઉત્સવ છે.