પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૬૬



પંજાબ જેવા સ્થિતિચૂસ્ત પ્રાંતમાં અંત્યજોની સાર કોઈ હિન્દુએ લીધી નહોતી. એ 'અછૂતો' માનવજાતને મળેલા તમામ જન્મસિધ્ધ હક્કોથી બાતલ હતા. એને નહોતી શાળાઓ કે નહોતાં નવાણો. એની વહારે પણ જોશીલો લાજપત જ ચડ્યો હતો. પંજાબભરમાં એ અછૂતોદ્ધારનો મંત્ર ગુંજતા ગુંજતા ઘૂમતા. અને એના અંતરમાં અછૂતો પ્રતિની કેવી જ્વાળાઓ ઊઠી હતી તેની સાખ તો સાઈમન કમીશનના બહિષ્કાર પર પોતે વરિષ્ઠ ધારાસભામાં જે અભયભરપુર વ્યાખ્યાન દીધું તેમાંથી જડે છે: એ બેાલ્યા છે કે–

'સાહેબો, આ અણિશુદ્ધ ગોરા કમીશનની નિમણુક કરવાના બચાવમાં અમીર બર્કનહેડે એક કયો મુદ્દો આગળ ધર્યો છે, જાણો છો ? એ છે સરકારની અસ્પૃશ્યો પ્રતિની દયાનો મુદ્દો ! અસ્પૃશ્યોની હસ્તી તમે ક્યારથી સ્વીકારી ભલા ? આ દલિત વર્ગના અસ્તિત્વનું જ્ઞાન બ્રિટિશ સરકારને કયે દિવસે થયું સાહેબો ? લાગે છે કે ઈ. સ. ૧૯૧૭ થી.'

એક સભ્ય–શી રીતે ?

'શી રીતે તે હું એક ક્ષણમાં જ આપને સમજાવું છું, સાહેબ ! ઈ. સ. ૧૯૧૭ના ઓગસ્ટમાં સરકારે મહાન ઢંઢેરો પિટાવ્યો કે બ્રીટીશ રાજનીતિનું ધ્યેય હિન્દને બ્રીટીશ સામ્રાજ્યની અંદરના એક અંગ તરીકે તૈયાર કરવાનું છે. આ ઢંઢેરો હિન્દને વિષે રહેતી સમસ્ત અંગ્રેજ જનતાને,