પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાલ્યાવસ્થા

૧૬


માર્ગે પ્રત્યેક શિવલિંગ પર ઝારીમાંથી અક્કેક બિન્દુ ટપકાવી, અનેક મોટા દેવતાઓની પૂજા કરી ઘેર પહોંચતો.

એમ કરતાં પૂજાનો ભાવ મારા અંતરમાં ઊંડો ઊતરવા લાગ્યો. મછવાની એક મુસાફરી સ્મરણે ચડે છે. રાશથી બલિયા અમે મછવામાં બેસી નદીમાર્ગે સફર આદરી. ત્રીજા પ્રહર સુધી મછવો ચાલતો અને ગંગાના પ્રવાહ સાથે સરતો મઝલ કાપતો. સાંજે ચાર વાગે રસોઈ તેમજ રાત્રિનિવાસની સગવડ જોઈને લંગર નખાતું, એક રાતની ઘટના મને યાદ આવે છે. તે દિવસ અમે જ્યાં મુકામ કર્યું ત્યાં અસલી યુગની પુષ્કળ રાખ પડી હતી, અને કોઈ ઋષિએ ત્યાં તપ કર્યું હોવાનું કહેવાતું. હું તો રોજ સાંજે જમીને સૂતો; તે સવારના છ સુધી હલવાચલવાનું નામ ન લેતો. પણ તે દિવસે ત્યાં એક પુરાતન વડલો દેખ્યો, જેની વડવાઈઓમાંથી પચાસ તો થડ થઈ ગયાં હતાં. ઘટા એટલી ફેલાયેલી કે એક સો ઘોડેસવારનું લશ્કર પણ અદશ્ય થઈ જાય. પ્રકૃતિ માતાના આ વિશાળ ઘુમ્મટ નીચે શીતળ લહર વાતાં મારી આંખો મળી ગઈ. બે કલાક સુધી ફાનસો લઈને મને સહુએ શોધ્યો ત્યારે વડલા નીચે હું ઘસઘસાટ સૂતેલો માલૂમ પડ્યો. બચપણમાંથી જ મને નવી ઈમારતો કે મહેલ- મોલાતોની મોહિની નથી લલચાવી શકી. પ્રભુનાં રચેલાં દૃશ્યો, પ્રાચીન મંદિરો અને ખંડિયેરો મને સર્વદા વધુ બલવાન આકર્ષણ કરતાં રહ્યાં છે.