તરફ દુર્લક્ષ કરવું જોઇએ, એ વસ્તુ તેને સાફ સમજાવી જોઇતી હતી, એમ કોઇને સહેજે લાગે એવું છે. પણ ઇવાને તો મનમાં એથી ઊલટી ગાંઠ વાળી. તે કહેવા લાગ્યો કે મારે શાન્તિ જોઇએ છે. એ શાન્તિમાં ભંગ પાડે એવી દરેક વસ્તુ તરફ તે ટાંપીને જોઇ રહેતો; ને શાન્તિમાં જરાક ખલેલ પડે કે મિજાજ ખોઇ બેસતો. તે વૈદકની ચોપડીઓ વાંચતો ને અનેક ડાક્ટરની સલાહ લેતો. તેને લીધે તેની સ્થિતિ વધારે બગડતી જતી હતી. એનું દરદ એટલું ધીરેધીરે આગળ વધતું હતું કે એક દિવસની સાથે બીજાને સરખાવતાં તે પોતાના મનને છેતરી શકે એમ હતું—બે દિવસ વચ્ચેનો ફરક એટલો નજીવો દેખાતો. પણ તે જ્યારે ડાક્ટરોની સલાહ લેતો ત્યારે તેને લાગતું કે મારું દરદ વધતું જાય છે, ને તે પણ બહુ ઝપાટાભેર, તેમ છતાં તેણે ડાક્ટરની સલાહ લેવાનું ચાલુ રાખ્યું હતું.
એ મહિને તે બીજા એક નામાંક્તિ ડાક્ટરને મળવા ગયો. પહેલા ડાક્ટરે કહી હતી તેના જેવી જ વાત આ ડાક્ટરે પણ કહી. માત્ર એણે જરા જુદા શબ્દોમાં પ્રશ્નો પૂછ્યા એટલું જ. એ પ્રસિદ્ધ ડાક્ટર સાથેની મુલાકાતથી તો ઇવાનની શંકા અને બીકમાં માત્ર વધારો જ થવા પામ્યો. એના એક મિત્રનો મિત્ર સરસ ડાક્ટર હતો. તેણે વળી બીજા બધાના કરતાં જુદું જ નિદાન કર્યું, અને દરદ મટી જશે એમ તો જોકે તેણે કહ્યું, પણ તેણે જે પ્રશ્નો પૂછ્યા ને અટકળો કરી એથી ઇવાન વધારે ગભરાયો ને તેની શંકા વધી પડી. એક હોમિયાપથીવાળાએ કંંઇક જુદો જ વ્યાધિ બતાવ્યો ને દવા બતાવી. તે ઇવાને અઠવાડિયા સુધી છૂપી રીતે લીધી. પણ અઠવાડિયા પછી કશો સુધારો જણાયો નહીં, એટલે આગલા ડાક્ટરના તેમજ આના પણ ઉપચાર પરથી તેની શ્રદ્ધા ઊડી ગઈ, અને નિરાશા ને ગમગીની વધી પડી. એક દિવસ એની એક ઓળખીતી બાઇએ કહ્યું કે એક ચમત્કારી મૂર્તિ છે તેની પૂજાથી ફલાણો માણસ સાજો થઇ ગયો. ઈવાને જોયું કે પોતે એ વાત ધ્યાનથી સાંભળી