પૃષ્ઠ:Bhadram bhadra book.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આતિથ્યકારને ગૃહે શિવશંકર દ્વારા આપનું અન્વેષણ કરાવ્યું હતું, આપ સારું મેં અભયાકૃષ્ટચતુશ્ચક્ર ગવાક્ષસપાટાછાદનસમેત રથ પ્રેષિત કર્યો હતો, પણ આપ સંમિલિત થયા નહિ. આપનું ચરિત્ર શ્રવણ કરી હું આનન્દાશ્ચર્ય પ્રાપિત છું.”

શબ્દની ઝડઝમક ને વણાંલંકારના મોહમાં કૃત્રિમ શબ્દરચનામાં રાચતા લેખકોની શૈલીની વિડંબના ચંપકલાલ ચટ્ટુનું પાત્ર સર્જાવીને એમણે કરી છે. ‘વિધવાઓના વાળના વધારાનો વધ’ એ નામના એમના પુસ્તકમાંથી ઉતારો આપ્યો છે તેમાંનાં એકાદબે વાક્યો જોઈએ, ‘પશુપક્ષીઓ અને જળચરો, વનચરો અને વનસ્પતિઓ ક્ષૌરકમ બિલકુલ કરાવતાં નથી. મેઘવાડિયા મહિનામાં એક વાર ક્ષૌરકર્મનો ક્રમ લે છે. કણબી, સુતાર પખવાડિયે એક વારની ધારાનો આધાર સારો ગણે છે, મધ્યમ વર્ગના જનો અઠવાડિયે એક વાર શિર ઉપર ચક્ષુના મશહૂર નૂરની ધુર પ્રગટાવવાની જરૂર જુએ છે, ઉત્તમ પંક્તિના મનુષ્યો અઠવાડિયામાં બેત્રણ વખત સખત શ્રમ લઈ તખતથી પણ ઊતરી એ અખતરો અનુભવે છે, એ ઉત્તરોત્તર ક્રમ શું દર્શાવે છે? એ જ કે જેમ મનુષ્ય ઉત્તમ તેમ તેમ કે વપન વિશેષ.’ આગળ એક સ્થળે શ્રી ચંપકલાલ વદે છે. ‘સ્ત્રીઓ પુરુષોની સમાન છે એ ગુમાનભર્યા પણ માનની કમાન વિનાના વિચારની તમા ન રાખવી ઘટે છે.’ આ લેખકે બીજાં પાંચ સાત ‘દળદાર’ પુસ્તકો પણ લખ્યાં છે. તેમનાં નામ પણ એવાં જ રાખ્યાં છે. ‘પૂજાતા પંડિતોના પવનનું પોલાણ’, ‘સુધારાના ધરામાં ધરાતી ધરપત’, ‘ચારુતાથી ચણેલી ચતુરાઈની ચર્ચા.’

આપણાં વર્તમાનપત્રોમાં કેટલાક અનધિકારી ને ભાષાજ્ઞાન વિનાના, પ્રેસના કામકાજના થોડાક અનુભવે તંત્રીપદે ચઢી બેસનારાઓ કેવી ભાષા વાપરે છે તેનું ચિત્ર એમણે માધવબાગની સભામાં ભાષણ કરવા ઊભા થયેલા એક વક્તા દ્વારા આલેખ્યું છે. એ મહાશય સભાને સંબોધતાં કહે છે : “ગૃહસ્થો ! આવા સારા ને વખાણવા લાયક કામને મદદનીશ થવા એકઠા થયેલા તમો સહુની સામે મને ઊભેલો જોઈ હું પોતાને નસીબવાન ગણી અભિનંદન આપ્યા વિના મદદ કરી શકતો નથી. હું ન્યૂસપેપરનો અધિપતિ છું. તે હોદ્દાના રાખનાર તરીકે મેં ઘણી વાર સુધારાની હિલચાલ પર ટીકા કરેલી છે. સુધારાની અગત્યતા સાબિત થયેલી બીના નથી. આપણામાં લડવાનું ઐક્યત્વતાપણું હોય... આપણામાં લોકપ્રિયતા એકઠી કરવાની ખપતી હિકમત હોય, તો પછી ગાંભીર્ય વિચારની શી ખોટ છે ? વિદ્વાનતાની શી જરૂર છે? સુધારાની શી માગવા લાયકતા છે? આપણો અનુકમ કઈ લીટીઓ પર કરવો, તે બાબતમાં પારસીઓને તથા અંગ્રેજોને શું કામ નાક મૂકવા દેવા ? સારું ખોટું જોવાની જરૂર નથી. પણ તે પર હુમલો કરવાની જરૂર છે. એડિટરના હુન્નરથી અજાણ્યા લોકો એને ઉદ્ધતાઈ કહે છે, હું એને હિંમત કહું છું. એવી જુસ્સાવાળી હિમ્મત હોય, તો પછી રાજકીય હક્કો મેળવવામાં વિચારની વૃદ્ધિ રમતમાં લાવવાની શી જરૂર છે ? તો પછી સુધારાના અમલને કામનું ખેતર જ નથી. તે લાવવો જોઈતો છે નહિ.’