પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંધકાર અજ્ઞાનસમ, નાશે જ્ઞાન પ્રકાશ. ૯૮

જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષ-પંથ ભવઅંત. ૯૯

રાગ, દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ,
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦

આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહીત,
જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧

કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ,
તેમાં મુખ્ય મોહિનિય હણાય તે કહું પાઠ. ૧૦૨

કર્મ મોહિનિય ભેદ બે, દર્શન ચારિત્ર નામ,
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩

કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ,
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૪

છોડી મતદર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ,
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫

ષટ્પદનાં ષટ્પ્રશ્ર્ન તેં, પૂછયાં કરી વિચાર.
તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬

જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય,
સાધે તે મુક્તી લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭

કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ અંતરદયા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮

તે જિજ્ઞાસુ જીવને, થાય સદગુરુ બોધ,
તો સામે સમકીતને, વર્તે અંતર શોધ. ૧૦૯

મતદર્શન આગ્રહ તજી, વર્તે સદગુરુલક્ષ,
લહે શુદ્ધ સમકીત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦