એક દિવસ બીરબલ પોતાની કૂતરીને સાથે લઈ ફરવા નીકળ્યો હતો, એવામાં બાદશાહ સ્હામેથી ઘોડા ઉપર બેસીને આવ્યો. તેણે બીરબલ સાથે કૂતરી જોઈ વિનોદમાં પૂછયું “બીરબલ કુતીયાકા કયા લેગા ?”
હાઝર જવાબ બીરબલે એવોજ દંદાંશિકન જવાબ આપ્યો કે “ હુઝૂર કુતીયાકે કયા દેંગે ?
બાદશાહ આ જવાબ સાંભળી નિરૂત્તર બની ગયો.
એક દિવસ બાદશાહે દરબારયોને છ પ્રશ્નો પૂછયા કે (૧) દૂધ કોનું સારું ? (૨) પાંદડું કયું સારું (૩) ફળ કોનું ઉત્તમ ? (૪) મીઠાસ કોનામાં સારી ? (૫) ફૂલ કયું સારું (૬) રાજાઓમાં મ્હોટો કોણ?
પરંતુ, ઉપસ્થિત સભાસદોમાંથી કોઈ બાદશાહને રૂચે એવો યોગ્ય ઉત્તર આપી શક્યો નહીં. એવામાં બીરબલ આવી પહોંચ્યો, એટલે બાદશાહે તેને પણ એ પ્રશ્નો પૂછયાં. બીરબલે થોડીક પળ વિચાર કર્યા પછી કહ્યું “હુઝૂર! સાંભળો. દૂધ માતાનું સારું, જે વડે બાળકનું પાલન પોષણ થાય છે. પાંદડું પાન (નાગરવેલ) નું સારું જેના આપવાથી નોકર પોતાના માલિકને માટે પ્રાણ સુદ્ધાંનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. ફળોમાં દીકરો ઉત્તમ જે પોતાના બાપ દાદાની કીર્તિ વધારે છે. મીઠાસ વાણીની