પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રડતી રડતી એમ કહે છે કે, આ બ્રજમાં અમારો એવો કોઈ હેતુ છે કે, ગોપાલને જતા અટકાવે !’

આતો વળી ચોથો અરથ નીકળ્યો. કોઈનો અરથ એક બીજાના અરથને મળતો આવ્યો નહીં. આમ વીચાર કરતાં હતા એટલામાં સોદાગર ખાજા જંગ આવ્યો, તેને શાહે આ પદ પુછતાં તેણે કહ્યું કે, ‘સરકાર ! બાર એટલે મહેલ. જસોદા મહેલે મહેલે ફરીને કહે છે કે, આ બ્રજમાં મારો એવો કોઈ હેતુ છે કે, ગોપાલને જતા અટકાવે ?’

તે સાંભળી શાહ પાછો વીચારમાં પડ્યો. આમાંથી કયો અરથ સાચો માનવો તે તેને સૂઝયો નહીં. એટલામાં નવાબ ખાનખાનાની સ્વારી ત્યાં પધારી. નવાબ સાહેબ એ પદનો અરથ કેવો કરે છે તે જાણવાનું શાહ્નું મન થયું તેથી તેણે તેને પણ એ પદનો અરથ પુછયો. શાહનું પદ સાંભળી નવાબ સાહેબે થોડીવાર વીચાર કરીને પૂછ્યું કે, ‘હજુર ! આ પદનો અરથ મને પહેલાં પુછયો છે કે, બીજા કોઈને પુછયો હતો ?’

શાહે કહ્યું કે, ‘તમારા પહેલા બીજાઓને પણ તે પુછવામાં આવ્યો હતો.’

નવાબે પુછ્યું કે, ‘તેમણે શો અરથ કર્યો હતો?’

શાહે દરેકનો અરથ કહી સંભળાવ્યો. તે સાંભળી નવાબ ખાનખાનાએ કહ્યું કે, ‘સરકાર ! સઉ સઉ પોત પોતાની જાત ઉપર ગયા છે. તાનસેન જાતે ગવૈયો. તેના ગાયનની અંદર વારંવાર ટોમ ટોમ થયા કરે છે તેથી તેણે બારબારનો અરથ ઘડી ઘડી કીધો. બીરબલ જાતનો બ્રાહ્મણ તે ઘરોઘર ફરનારો તેથી તેણે બારનો અરથ ઘર કીધો. રાજા ટોડરમલ મુત્સદી પડ્યો તેથી બારનો અરથ ઘાટ કીધો. પછી તો આપના શાહેર ફઈઝી. કવિને કરૂણા વધુ પસંદ હોય છે તેથી તેને તો રડવુંજ યાદ આવે છે. સોદાગર ખાજાજંગ તો આખો દીવસ અમીર ઉમરાવો અને શાહના મહેલમાં જનાર તેથી તેણે મહેલ અરથ કીધો. એનો અરથ તો જુદોજ છે.’

શાહે કહ્યું કે, ‘ત્યારે તું કહે.’

નવાબે કહ્યું કે, ‘બાર એટલે શરીરના બાલ-રૂંવા થાય છે. જસોદાના રૂંવે રૂંવા એમ કહે છે કે, આ બ્રજમાં અમારો એવો કોઈ હેતુ છે કે, ગોપાલને જતાં અટકાવે ?’

અકબરે કહ્યું કે, ‘નવાબ સાહેબ ? એ તો બ્રજભાષાની બલીહારી છે. આ પદના બીજા પણ જેટલા અરથ કરશો તેટલા થશે. આમાંથી કોઈનો પણ અરથ ખોટો છે એમ કહેવાય નહીં.’

આમ કહી શાહ ત્યાંથી ઉઠીને જનાનામાં ગયો, અને ત્યાં પણ રાણીઓ આગળ બ્રજભાષાના ઉપલા પદના થયેલા અરથ સમજાવી તે ભાષાની બલીહારી ગાઈ.


-૦-