પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તપશ્ચર્યા

.

હતી. એને તો દુ:ખનું નિવારણ કરવાનું ઓસડ જોઈતું હતું. એ કેવળ વાદવિવાદથી કેમ મળે ? તેથી એણે પોતાના ગુરુને વિનયપૂર્વક કહ્યું કે "મને આપના સિદ્ધાન્તોની માત્ર સમજણ નહિ જોઇએ, પણ જે રીતે એ સિદ્ધાન્તો અનુભવાય તે રીત શીખવો." આ ઉપરથી કાલામમુનિએ સિદ્ધાર્થને પોતાનો સમાધિમાર્ગ બતાવ્યો. એ માર્ગની સાત ભૂમિકાઓ હતી. સિદ્ધાર્થે એ સાતે ભૂમિકાઓ ઝટ ઝટ સિદ્ધ કરી.પછી એણે ગુરુને કહ્યું : "હવે આગળ શું ?" પણ કાલામે કહ્યું : "ભાઇ, હું આટલું જ જાણું છું. મેં જેટલું જાણ્યું તેટલું તેં પણ જાણ્યું છે; એટલે હવે તું અને હું હવે સરખા થયા છીએ. માટે હવે આપણે બે મળીને આ મારા માર્ગનો પ્રચાર કરીએ." એમ કહી એણે પોતાના શિષ્યને ઘણું માન આપ્યું.

અસંતોષ

૩. પણ આટલેથી સિદ્ધાર્થને સંતોષ થયો નહિ. એણે વિચાર્યું કે "આ સમાધિથી*[૧] કેટલોક વખત દુ:ખનાં કારણોનો નાશ થશે, પણ તેનો સમૂળગો ઉચ્છેદ નહિ થાય. માટે મોક્ષનો માર્ગ મારા ગુરુ કહે છે તેના કરતાં કાંઇક જુદો હોવો જોઇએ."


  1. *પાછળ 'સમાધિ' વિષે નોંધ જુઓ.


૧૩