પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નોંધ

.

તૃપ્તિ એ યોગ્ય નથી, પણ કાર્યક્ષેત્ર એ પ્રધાન વસ્તુ નથી, શક્તિનો વિકાસ એ પ્રધાન છે, એ ભૂલવું ન જોઇયે.

જે એ ભૂલતા નથી તેને જીવનની કોઇ પણ સ્થિતિમાં ગયેલા ભાગ માટે શોક કરવાની જરૂર ભાસતી નથી. એનું આખું જીવન એને ઉંચે લઇ જનારા રસ્તા જેવું ભાસે છે.

કાર્યક્ષેત્ર પ્રધાન નથી, એનો અર્થ એમ ન કરવો કે પ્રવૃત્તિઓ વારંવાર બદલવી જોઇયે. પરંતુ પ્રવૃત્તિમાંથી પોતાની પ્રત્યેક શક્તિ અને ભાવનાના વિકાસ પર દૃષ્ટિ રાખવી એ જરૂરનું છે. ધન મેળવતાં આવડ્યું, તો દાન કરતાં યે આવડવું જોઇયે; દાન માટે પ્રસિદ્ધિ મળી હોય તેણે ગુપ્તદાનમાં પારંગતતા મેળવવી જોઇયે. ધન ઉપર પ્રેમ કરતાં આવડ્યો તો મનુષ્ય ઉપર પણ પ્રેમ કરતાં આવડવો જોઇયે. એમ ઉત્તરોત્તર આગળ જ ધસવું ઘટે છે.

પા૦ ૧૨ : સિદ્ધાર્થની ભિક્ષાવૃત્તિ- સ્નાનાદિક શૌચ, પવિત્રપણે કરેલું સાત્વિક અન્ન-જળ, વ્યાયામ, એ સર્વેનું ફળ ચિત્તની પ્રસન્નતા, જાગૃતિ અને શુદ્ધિ એ છે. ન્હાવાથી પ્રસન્નતા લાગે છે, ઉંઘ ઉડી જાય છે, સ્થિરતા આવે છે અને કેટલોક સમય જાણે તહેવારનો દિવસ હોય એવી પતિત્રતા ભાસે છે એવો સર્વેને અનુભવ હશે જ. આવું જ પરિણામ શુદ્ધ અન્ન, વ્યાયામ વગેરેનું થાય છે. આ માટે જ સ્નાનાદિક શૌચના અને ભોજન, વ્યાયામ વગેરેના નિયમોનું મહત્ત્વ છે. આજુબાજુનું વાતાવરણ પોતાના શરીર અને અમ્ન ઉપર ખરાબ અસર ન કરી શકે એટલા માટે આ સર્વ નિયમોનું પાલન.
૬૩