‘ભલે.’
‘તો બધી બાઈઓને ઓરડામાં પૂરી દે.’
લૂંટીને બહાર ચાલ્યા ત્યારે બહાર જઈ પેલા બે મુસલમાન કુંભારોએ કહ્યું કે હેમનો હાર ભૂલથી ગોખલામાં પડ્યો રહ્યો. એ બહાને પાછા જઈ ને એ કુંભારોએ બાઈઓની આબરૂ લીધી.
એથી રાયદે કંટાળ્યો. ‘હવે આ લોકો મારા ભેળા ન હોય.’ આંબલાની ધાર નજીક સૂતા. ન ઊઠ્યા—તે દી ચડ્યો ત્યાં સુધી ! ઊઠે છે ત્યાં તો ઘસતને આવી પહોંચેલી જુએ છે. ધીંગાણું કરતા કરતા પ્રોડીઆની નાળ્યમાં પહોંચી જાય છે. ત્યાં મછવો પડ્યો છે. ઠેકી ઠેકીને મછવામાં એક પછી એક જણ ચડે છે ને રાયદે પોતે વારને હટાવતો રહે છે. છેવટે પોતે કુદ્યો, પણ વહાણની મીંદડી પગમાં વાગી. મછવો હાંકી ભાગ્યા, પણ મછવો તૂટેલો એટલે જખ્મી રાયદેને ઝોળીમાં ઉપાડી વાઘેરો કાંઠે કાંઠે ભાગ્યા. એને પહોંચાડવો હતો ગોંજ ગામે જેઠીજી દરબારને ઘેર. વાડીએ ગયા, પૂછ્યું. ‘દાજીભાઈ છે? કહો કે ભાઈબંધ આવ્યા.’
ભાણેજ ઘેર પૂછવા ગયો. મામીએ જવાબ કહાવ્યો કે ‘ઘેર નથી.’
રાયદેએ સાથીઓને કહ્યું : ‘જુવાનો ! પાણજી કજા અચી વઈ.’ (આપણું મોત આવી પહોચ્યું.)
ચાલ્યા. રસ્તે કાળો મહારાજ મળ્યો. ઘણી તાણ કરી પોતાની વાડીએ લઈ ગયો.