વધારે કમાવાનું રહ્યું, આ નિયમના લાગુપણાનાં બીજાં દૃષ્ટાંતો આપણે
આ લડતના ઈતિહાસમાં જ જોઈશું.
હવે જ્યારે નવી વસ્તીની વાત પણ લડતમાં દાખલ થઈ ત્યારે
નવી વસ્તીને દાખલ કરવાની કસોટી પણ સત્યાગ્રહીએ જ કરવાની
રહી. ગમે તે હિંદીની મારફતે એ કસોટી ન કરાવવી એવો કમિટીનો
નિશ્ચય હતો. નવી વસ્તીના કાયદામાં પ્રતિબંધની જે બીજી શરતો
હતી અને જેની સામે અમારે કંઈ પણ વિરોધ ન હતો તે શરતોનું
પાલન કરી શકે એવા માણસને ટ્રાન્સવાલમાં દાખલ કરી જેલ મહેલમાં
બેસાડી દેવો એવી ધારણા હતી. આમ કરી સત્યાગ્રહ એ મર્યાદા-ધર્મ
છે એમ સાબિત કરવું હતું. એક કલમ એ કાયદામાં એવી હતી
કે નવા દાખલ થનારને યુરોપની કોઈ પણ ભાષાનું જ્ઞાન હોવું
જોઈએ. તેથી અંગ્રેજી જાણનાર હિંદી જે ટ્રાન્સવાલમાં અગાઉ ન
રહી ગયેલ હોય તેને દાખલ કરવાની કમિટીની ધારણા હતી. કેટલાક
હિંદી નૌજવાનોએ કહેણ મોકલ્યું હતું, પણ તેમાંથી સોરાબજી શાપુરજી
અડાજણિયાનું જ કહેણ કસોટીના કેસ- (ટેસ્ટ કેસ)ને સારુ કબૂલ
રાખવામાં આવ્યું.
નામ ઉપરથી જ વાંચનાર સમજી શકશે કે સોરાબજી પારસી હતા. આખા દક્ષિણ આફ્રિકામાં પારસીની વસ્તી સૌથી વધારે નહીં હોય. પારસીઓને વિશે જે અભિપ્રાય મેં હિંદુસ્તાનમાં આપેલો છે તે જ હું દક્ષિણ આફ્રિકામાં પણ ધરાવતો હતો. અાખી દુનિયામાં એક લાખથી વધારે પારસીઓ નહીં હોય. એટલી નાની કોમ પોતાની પ્રતિષ્ઠા જાળવી રહી છે, પોતાના ધર્મને વળગી રહી છે, અને ઉદારતામાં દુનિયાની એક પણ કોમ તેને નથી પહોંચી શકતી, એટલી જ વાત એ કોમની ઉચ્ચતાનું પ્રમાણપત્ર છે. તેમાં પણ સોરાબજી તો અનુભવ થતાં રતન નીવડયા. જ્યારે એઓ લડાઈમાં દાખલ થયા તે વખતે એમને હું સહેજસાજ ઓળખતો. લડતમાં