પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૫૦
દેશી રાજ્યો

દેશી રાજ્યોમાં ચાલી રહેલી આઝાદીની ચળવળ નવી મજલમાં પગલાં માંડી રહી છે. ઇતિહાસ વળી એક વાર ભજવેલા ખેલ ભજવશે એમ લાગે છે. તાલચેર અને ધેનકનાલમાં ચાલતી દમનનીતિ સૌથી મોખરે છે. તાલચેરની કુલ ૭૫,૦૦૦ વસ્તીમાંની ૨૬,૦૦૦ બ્રિટિશ ઉત્કલમાં હિજરત કરી ગઈ છે એ બીના જેવીતેવી નથી. આ હિજરતી લોકોની હાડમારીઓની હૈયું વલોવી મૂકનારી વિગતો પ્રો૦ રંગાએ પ્રગટ કરી છે. એ હકીકતોને ઠક્કરબાપા જેવા પીઢ દયાધર્મી સમાજસેવક, જેઓ ગમે ત્યાંથી પણ દુઃખની બૂમ સંભળાતાં જ હમેશાં કુમકે દોડી જનારા છે, તેઓ ટેકો આપે છે. આ હિજરતીઓ બે માસ થયાં રણવગડે છે. મને આશા હતી કે તેઓ પાછા ઘરભેગા થવા પામ્યા હશે, પણ એમના ભાગ્યમાં હજુ શાંતિ જણાતી નથી.

આ લોકોમાં સંકટનિવારણના કામને એકલા ઉત્કલથી કોઈ રીતે પહોંચી વળાય એમ નથી. ઉત્કલ સરકાર પાસે પૈસાની છૂટ નથી. મને આશા છે કે કલકત્તાની મારવાડી સંકટત્રાણ સમિતિ આ સંકટનિવારણનું કામ ઉપાડી લેશે અને ધ્યાન રાખશે કે, સંકટગ્રસ્ત લોકોને મુખ્ય રાહત મજૂરીનાં કામ શોધી આપવાની છે.