પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫
ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ


કોની પહેલ?

ત્યારે પહેલ કાણ કરે? દેખીતું છે કે પહેલ બ્રિટિશ હિન્દુસ્તાનથી જ થવી જોઈએ. ત્યાં રૈયતને પોતાની ભયંકર સ્થિતિનું ભાન થયું છે અને તેમાંથી છૂટવાની ઇચ્છા છે. અને જેમ જિજ્ઞાસા પછી જ જ્ઞાન સંભવે છે, તેમ આ ભયમાંથી છૂટવાની ઇચ્છા કરનાર પ્રજાને જ મુક્તિના ઉપાય મળશે ને તે તે ઉપાય યોજશે. તેથી જ મેં અનેક વેળા કહ્યું છે કે, બ્રિટિશ હિન્દુસ્તાનનું સ્વાધીન થવું એ જ દેશી રાજ્યોનું સ્વાધીન થવું છે. બ્રિટિશ હિન્દુસ્તાનના સ્વાધીન થવાનો શુભ અવસર આવશે ત્યારે રાજાપ્રજાના સંબંધ મટી નહિ જાય પણ ત્યારે એ સંબંધ નિર્મળ થશે. સ્વરાજની મારી કલ્પનામાં રાજસત્તાનો નાશ નથી. મારી કલ્પનામાં ધનસંચયનો નાશ નથી. ધનસંચયમાં જ રાજસત્તા રહેલી છે. હું ધનિક, મજૂર ઇત્યાદિ વચ્ચે સદ્‌વ્યવહાર ઇચ્છું છું. કેવળ મજૂરવર્ગનું કે કેવળ ધનિકવર્ગનું સામ્રાજ્ય નથી ઇચ્છતો. હું આ વર્ગોને સ્વભાવથી જ અરસપરસ વિરોધી નથી માનતો. જગતમાં તો ગરીબ તવંગર રહેવાના જ. પણ તેમની વચ્ચેના વહેવારનું પરિવર્તન થયે જશે. ફ્રાન્સ પ્રજાસત્તાક છે, પણ ત્યાં બધી જાતના વર્ગો છે.

આપણે શબ્દજાળમાં ન ફસાઈએ. જે જે દૂષણો આપણે હિન્દમાં જોઈએ છીએ તે બધાં બહુ સુધરેલી મનાતી પશ્ચિમની પ્રજાઓમાં પણ છે. તેને આપણે જુદાં નામથી ઓળખીએ છીએ. ડુંગરા જેમ દૂરથી રળિયામણા લાગે છે, તેમ પશ્ચિમની કેટલીક વસ્તુઓ આપણને દૂરથી રૂપાળી દીસે છે. હકીકત તપાસીએ તો ત્યાં પણ રાજા પ્રજા વચ્ચે ક્લેશ ચાલ્યા જ કરે છે. ત્યાં પણ લોકો સુખ શોધે છે ને દુઃખ ભોગવે છે.