પૃષ્ઠ:Divadi.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬ : દીવડી
 

મેં પૂછયું : 'ક્યો ઇલાજ?'

'ગૃહસ્થાશ્રમમાં સંયમ અને પ્રેમમાં સહકાર એ જ સાચું જીવન છે.'

હું તો આખી વાત ભૂલી ગયો હતો, પરંતું ગિરીશને ફરી જોયા. પછી તેની આ ટૂંકી કથની મેં નોંધી રાખી છે. ઘણા યે પ્રમાણિક પ્રેમીઓનાં જીવન દેહે દીધેલી પ્રેમની મર્યાદા ન પાળવાથી ચિતા સરખાં બની જાય છે.

ગિરીશ અને ગાયત્રી પ્રેમની ચિતામાં પગ મૂકી ચૂક્યાં હતાં; તેમાંથી તે ઊગરી ગયાં. સંયમ તથા સહકારની ભાવનાથી ગૃહસ્થાશ્રમની કંઈક ચિતાઓ બગીચામાં ફેરવાઈ જાય એમ છે. પ્રેમના આસ્વાદમાં નથી પુરુષ ભોક્તા કે ભોજ્ય, અને નથી સ્ત્રી ભોક્તા કે ભોજ્યા; બંને ભોક્તા છે. અને ભોકતૃત્વની મર્યાદા છે એમ સમજનાર પૃથ્વી ઉપર સ્વર્ગનું સુખ અનુભવે છે.

એ જ્યાં નથી સમજાતું ત્યાં વિષવેલીઓ વવાય છે. મોટે ભાગે પુરુષ જ સ્ત્રીના ભોક્તાપણાની મર્યાદા કે વિસ્તાર સમજતો નથી. પોતાનો આનંદ એ જ પુરુષનું પ્રાપ્તવ્ય બનવાથી પુરુષ ગૃહસ્થાશ્રમને કુંઠિત કરી નાખે છે. સ્વાર્થભર્યો આનંદ મેળવતી વખતે પુરુષે પણ વિચારવાનું છે કે પ્રેમોપચારયુગ્મ-આનંદમાં પરિણામ પામવો જોઈએ, નહિ કે એકલા પુરુષના આનંદમાં !