પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


તેવું ફૂલ ધરતાં ક્યા સાહિત્યોપાસકને પ્રથમ સંકોચ નહિ થયો હોય ! શૉપનહાઉર કહે છે કે સત્યદેવતા કોઈ ગણિકા નથી કે તમને ખુશ કરવા તે હાવભાવ કરતી આવે! તે તો એક અતિ શરમાળ કુમારિકા છે, જે માંડ માંડ ઘણી ઉપાસનાને અંતે એકાદ કૃપાકટાક્ષ કરે ! હું સત્યદેવતાને જ રૂપાન્તરે કલાદેવતા સમજું છું. અને સરસ્વતી તો દુરારાધ્ય મુગ્ધ કુમારિકા જ છે. ગમે તેવો ધૃષ્ટ ઉપાસક પણ તેની પાસે જતાં નામના પટાંતર રાખે છે. અને આ નામરૂપ જગતમાં હવે મને એ નામનો મોહ થયો છે.

દ્વિરેફનો અર્થ પણ મારે કરી આપવો પડશે. એ શબ્દનો રૂઢ અર્થ ભ્રમર થાય છે. પણ પુષ્પોમાંથી મધુ ભેગું કરી આપનાર ભમરો હોવાનો હું દાવો કરતો નથી. મને જગતમાં સર્વત્ર મધ દેખાતું નથી અને મારી ધણીએ વાર્તા કડવી પણ હશે. હું રૂઢ અર્થમાં નહિ પણ યૌગિક અર્થમાં દ્વિરેફ છું. ભ્રમરની પેઠે મારા નામમાં પણ બે રેફ-રકાર છે.

તે હું હવે મારી વાર્તાઓ ભેગી કરી ગુજરાત સમક્ષ રજૂ કરું છું. કહે છે કે ધીરો ભક્ત કાવ્યો લખીને તેને વાંસની ભૂંગળીમાં કે બીજા કશામાં બંધ કરી મહી નદીમાં તરતાં મૂકતો અને લોકો તેને લઈ લઈ સંઘરતા. એ સંત કવિ જેટલી શ્રદ્ધા કે રમતિયાળ બેપરવાઈ હું કેળવી શક્યો નથી. છતાં હું પણ આ વાર્તા તરતી મુકું છું. તેમાંથી કોઈ ઉદ્ધારાવી હશે તો ઉદ્ઘારાશે, નહિ તો સમયપ્રવાહમાં કે દૃષ્ટિ પારના કાલમહાસાગરમાં લુપ્ત થશે.

માઘ વદ ૫, શુક્ર,
સં. ૧૯૮૪
અમદાવાદ
રામનારાયણ વિ૦ પાઠક