પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જક્ષણી


જેવડો. અમારી નાતમાં પાશેર તાંબાનું નામ પાડી અરધા ભાર ઓછા લોટાનું લાણું કર્યું હતું. અમે તો લોટો સાચવી રાખ્યો છે; ભલે ને અહીં નોકર હોઇએ, પણ નાતમાં સઉ સરખા, એમ કોઇની સાડીબાર ન રાખીએ. નાત વચ્ચેાવચ્ચ સભળાવી દઇએ. હું તો શેઠ હોય તો ય નજર ચુકાવી ઘી પીરસી દઉં. બહુ કહે તો આ તારી નોકરી, જા નથી કરતા. બ્રાહ્મણના દીકરા છીએ, હાથમાં ઝોળી લઈ માગી ખાતાં કાંઇ શરમ ઓછી જ લાગવાની હતી, કેમ હેં ?”

મહારાજને વાતના ટેકાની જરૂર જણાઈ તેથી ગમે તે પ્રશ્ન પૂછી નાખ્યો: “ આ પંડ્યા તમારી નાતના છે.”

“ હા સાહેબ, એ અમારી નાતમાં હલકા ગણુાય. એ તો કન્યા કોઇ નહોતું આપતું તે મેં આપીને મોટા કર્યાં. મારી ભાણેજને આ સગે હાથે ચાંદલો કર્યો છે પણ મારા લગ્ન માટે તેણે બે વેણેય કોઇને કહ્યાં નથી."

મેં રેવાશંકર સામું જોઇને કહ્યું: "બિચારા મહારાજ પરણ્યા વિનાના છે ત્યારે ! એમને જક્ષણીની વાત કહું?" રેવાશંકરે હા પાડી તે પહેલાં મહારાજ બોલી ઊઠ્યાઃ “ જક્ષણી કોણ ?”

મેં કહ્યું: “ મારે ઘેર એક જક્ષણી છે. સાક્ષાત મહામાયા જોઇ લ્યેા. રાતે અધારામાં જુઓ તો બે આંખો દીવા જેવી ઝગારા મારે. જો માનતા માનીએ તો ફળે એવાં છે !”

"ત્યારે મને એક વાર દર્શન કરવા લઈ જાઓ ને !”

મેં કહ્યું: “ અરે ! અરે ! એ શું બોલ્યા ! એ તો કોઇને મળતાં જ નથી. બસ દિવસ આખો। ધરમાં બેસી રહે અને ધ્યાન ધર્યા કરે. એમ લોકોને મળવા દે તો પછી લોકો

૭૧