પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


તે પછી મને કેટલાક દિવસ હરજીવન ક્યાંઇ દેખાયો નહિ. તેને મળવાની ઇચ્છા પણ નહોતી. એની તાછડાઈ અને કડકાઇ મને પસંદ નહોતી. પણ બે ત્રણ મહિના પછી મળવાનું થયું. સમસ્ત ગુજરાત અખાડા મંડળોનો ઉત્સવ હતો. આખા ગુજરાતના અખાડામાંથી રમનારા આવ્યા હતા. મને આમંત્રણ હતું. તેમના લાંબા કાર્યક્રમામાં મને રસ નહિ હોવાથી કુસ્તી વગેરેના કાર્યક્રમો પૂરા થઈ રહે એટલો મોડો હું ગયો.અતિ ઉત્સાહમાં દોડતાં નાનાં છોકરાંને વટાવી હું અંદર ગયો ત્યાં એક સાતેક વરસનો છોકરો પોતાથી નાના પાંચેક છોકરાઓને કહેતો હતો: "આવા હું મહાસુખ થાઉં અને તમે પાંચે ય મારી સાથે કુસ્તી કરો. ” આ દૃશ્ય જોઇ, હું પ્રેક્ષકો બેઠા હતા તેમાં મારી પ્રતિષ્ઠાને છાજતા ઊંડાણ સુધી અંદર ગયો અને સારા દેખાતા માણસો સાથે બેઠો. અસહકારીઓએ ખુરશી તો કાઢી નાખી છે. બધાને નીચે બેસવાનું હતું. એક સ્વયંસેવકે મારા હાથમાં સંસ્થાઓનો હેવાલ અને કાર્યક્રમનું કાગળિયું મૂક્યું. પાસેનાને પૂછતાં સમજાયું કે હું જોઇએ તેટલો જ મોડો હતો. મગદળ, લાઠી, બનેટી, મલખમ, કુસ્તી વગેરેના લાંબો કાર્યક્રમ હમણાં જ બંધ થયો હતો અને માણસો રમતો તરફ જોઇને બેઠા હતા તે હવે પ્રમુખ તરફ ફરતા હતા. આખા મંડળમાં એક ઉત્સાહ પૂરો થઈ બીજો શરુ થતો હતો. મારી પાસે બેઠેલા કોઇ શેઠિયાને મેં પૂછ્યું: “ કેમ કેવું થયું ? " તેણે કહ્યું: “ આખું ય સરસ હતું પણ છેલ્લી બે વિગતો બહુ સરસ હતી. કુસ્તીનું છેલ્લું દ્વંદ્વ અને પંચમુખી કુસ્તી. છેલ્લામાં હરજીવન હાર્યો." પંચમુખી કુસ્તી નવો જ શબ્દ હતો, પણ મને હરજીવન હાર્યો એ જાણવાની વધારે ઇચ્છા થઇ.

૧૦૪