પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


અમારી સાથેના ધીરુભાઇને તો સોગઠી ચાલતાં જ ન આવડે. તેમને દા પુષ્કળ પડે પણ ઘણી વાર તો ત્રણ ત્રણ વાર પડીને બળી જતા. ઠેઠ સુધી તેમને તોડ ન થયો. સોગઠીઓ પડમાં આવી આવીને ખડી થઇ, પાછી ચાલી, વળી ચોર્યાશીના ફેરામાં પડે. અમે સર્વેએ એમની સોગઠીઓનું નામ કપિલરાય પાડ્યું. કપિલરાય પણ આ મશ્કરી અરધી સમજી, અરધી ન સમજી, અમારી સાથે હસવા લાગ્યા. અને ધીરુભાઈની સોગઠીઓને કોઇ મારે છતાં તે પાછી આવીને પડમાં બેસતી તે ઉપરથી પોતે અભિમાન લેવા લાગ્યા. એક બીજા છત્રપતિ હતા. તેમને ચોપાટના બે જ નિયમે! આવડતા: એક તો એ કે બીજા પડમાં દાવ નાખવાથી દાણા વધારે સારા આવે અને બીજો એ કે માંચે (ફૂલે) બેસવાથી સોગઠી મરતી નથી. એટલે હાથ લંબાવીને પણ બી઼આના પડમાં કોડીઓ નાખતા; અને સોગઠીઓ માટે માંચો શોધ્યા કરતા અને મળ્યા પછી બને ત્યાં સુધી છોડતા નહિ. અમે તેમને આપણા સાહિત્યમાં એક વાર પ્રસિદ્ધ થયેલા ગણપતિશંકરનું નામ આપ્યું. તેમણે ૧૯૦૨ માં એક નિબંધ લખ્યો તે ઘણે વખણાયા, તેમને પ્રતિષ્ઠા મળી ગઈ અને પછી તેમણે બીજું કશું લખ્યું જ નહિ. માત્ર બીજાં ક્ષેત્રોમાં કામ કરનારાઓને સલાહના સોલા માર્યા કર્યાં. પણ તેમની સાવચેતીઓ બધી બરબાદ ગઇ. મંગુભાઇ રમવામાં ઉસ્તાદ હતા. રમત ચગાવવા તેમણે એક સોગઠી પાકતી હતી તેને ગાંડી કરી. સાધારણ સોગઠી કરતાં ખાસ માચાને મારવામાં જ તેમણે વધારે ધ્યાન આપ્યું. પરિણામે કેટલાક માંચા ખાલી થયા પણ એ ગાંડી સોગઠી પાક્યા વગર મરી ગઈ. આ સોગઠીનું નામ અમે મનહરલાલ પાડયું. મનહરલાલે

૧૫૦