પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ખેમી


સાંજને પહોર, જે ગાઠડી ઉપર ધનિયો અમદાવાદમાં મોહી પડ્યેા હતો તે ગાઠડી વાળી ખેમી વાળે છે. પણ અત્યારે તે અમદાવાદમાં નથી, અત્યારે તેની પાસે ધનિયો નથી. છએક માસ ઉપર તેણે બન્નેને છોડ્યાં છે. ઉપરના બનાવ પછી, દારૂ ન પીવાની લગ્નની શરત છતાં, કંઈક ખેમી સહન કરી લેશે એવા વિશ્વાસથી, કંઈક શરત પાળવી એ બૈરી આગળ નબળાઇ બતાવવા જેવું લાગવાથી, કંઈક પોતાને દારૂ ચઢતો નથી એવા, પીનારને સામાન્ય મિથ્યાભિમાનથી, કંઇક ખરાબ સોબતથી, તે દારૂ પીવા લાગ્યો હતો. ખેમીએ તેને ઘણી વાર ધમકાવ્યો, તિરસ્કાર્યો, મેલીને નાસી જવાની ધમકી આપી; પણ ધનિયાએ તે ખોટી માની ગણકારી નહિ. છેવટે એક દિવસ તે વધારે દારૂ પીને આવ્યો અને "મને મેલીને કોને જવાની છે" એવા ગર્વમાં તેણે ખેમીને મારી. બીજે દિવસે સવારે ખેમી ચાલી નીકળી. તેની મા મરી ગઈ હતી. તે નડિયાદ ગઈ, અને પરશોતમ નામના ભંગીઓના ઉપરી મ્યુનિસિપલ કારકૂનને પગારમાંથી લાંચ આપવાનું ઠરાવી નોકર રહી. નડિયાદમા તે સામાન્ય રીતે લહેરી ગણાતી હતી. સર્વ ભંગીઓ તેની સાથે મશ્કરીમાં જોડાતાં, પણ ખેમીના દિલમાં ધનિયાને છોડ્યાનો ઊંડો કાંટો રહી ગયો હતો. અમદાવાદથી આવતા દરેક ભંગીને તે ધનિયાના ખબર મેળવવા બહુ જ આતુરતાથી પૃછતી. તે ધનિયા પાસે જાય તો ધાંનયો તેને ફરીથી પ્રેમથી રાખે એમ તે જાણતી હતી. પણ ધનિયો તેને બોલાવે તો જ જવું એવી તેની ટેક હતી. ધનિયો બોલાવે તે માટે તેણે માનતા માની હતી છતાં હજી ધનિયાનું કહેણ આવ્યું નહોતું. તેથી તે નિરાશ

૧૬૫