પૃષ્ઠ:Dvirefani Vato.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્વિરેફની વાતો


વિચાર કર્યા કર્યો. ખરી રીતે વિચારમાં પ્રગતિ થતી નહોતી પણ એનું એ ભયંકર દૃશ્ય નજરે આવતું હતું. છેવટે મેં નિશ્ચય કર્યો કે એક જ વાર હૃદય મજબૂત કરીને આ બંધ કરવું. તે રાત્રે મેં અંગની સેવા કરવાની અને સવારે પગે લાગવાની ચોખ્ખા શબ્દોમાં ના કહી. મને લાગ્યું કે મારી યુક્તિ સફળ થઇ છે; કારણકે તેણે ડૂસકાં ન ભર્યાં, તે રોઈ નહિ, તેમ સવારે મને પગે લાગ્યા વિના ચાલી પણ ગઇ. પણ એ યુક્તિ સફળ થઇ નહોતી. ત્રીજે દિવસે મને માજીએ કહ્યું, કે બે દિવસથી વહુએ ખાધું નથી અને કામ કર્યા કરે છે. હું તરત જ સમજી ગયો. તે રાત્રે મેં મારી પત્નીને કહ્યું: "સતી ! હું તારા સતીત્વથી પ્રસન્ન છું. હું આજે મને ખુશીથી વાયુ ઢાળ.” મેં સવારે નમન કરવાની પણ રજા આપી. પાછું કામ સરેડે ચાલ્યું.

મને લાગ્યું કે હવે કાંઈ બીજી યુક્તિ શોધવી જોઈએ. એ ત્રણ દિવસો માત્ર તેના જ વિચારો કર્યાં. છેવટે યુક્તિ સૂઝી. તે રાત્રે હું ઘણા જ અભ્યાસમાં બેઠો હોઉં એવી રીતે ચોપડી લઈ પલાંઠી વાળી વાંચવા માંડ્યું. સતી આવી પણ મેં તેના સામું ન જોયું. તેણે આવી નિત્યનિયમ મુજબ સેવા માગી. મેં કહ્યું: "સતી, મારે મારી માતુશ્રીની સેવા કરવી જોઇએ પણ વાંચવાનું ઘણું કામ હોવાથી મારાથી બનતું નથી અને હું પાપમાં પડું છું. તું ચોવીસે કલાક તેમની સેવા કરે તો હું પાપમાંથી મુક્ત થાઉં. રાત્રે પણ તેમને કાંઈ જરૂર પડે માટે હું ત્યાં જ સૂઈ રહેજે. નહિ તો મારે એ બધું કરવું જોઇએ." અને આ વાક્ય મેં ઘણા જ ભક્તિભાવથી કહ્યું અને સતીએ તે માન્યું. તે તરત જ ગઈ. માતાજીને પણ

૫૦