પૃષ્ઠ:Dvirefani Vato Part 3.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
દ્વિરેફની વાતો


“એ અર્થ વિનાનું જીવન હવે ન જીવી શકાય. ગયાં સાત વરસના જીવન કરતાં તારી સાથેની વહાણની એક ઘડી મારે મન વધારે સાર્થક હતી, આ અત્યારનું નહિ જીવન નહિ મરણ જેવું જીવન પણ વધારે સાર્થક છે. હવે તો એમ નહિ જ રહી શકાય, હરકાન્ત.”

“માટે કહેતો હતો કે મને ખસી જવા દે. દોષ પણ મારો જ” લેખાએ વાક્ય પૂરું ન કરવા દેતાં હરકાન્તને ચુંબન કર્યું, ને કહ્યું: “પાછી એ જ વાત કરી !”

હરકાન્તે કહ્યું : “ના, આ તારા અધરાંકિત કપાલ પર બીજું ચિહ્ન હું નથી જ લેવાનો. સાધકને દેહાન્તનો વિકલ્પ માગવાનો હક છે. દેહાન્ત કેમ કરવો વગેરે બધું હું મારી મેળે સમજી શક્યો છું.”

ચન્દ્રલેખાએ હરકાન્તને ગાઢ આલિંગન કર્યું. કપાલ પર, મુખ ઉપર ચુંબને કર્યાં—જાણે પોતાને સર્વાત્મ અર્પતી હાય ! થોડીવાર રહીને તેણે હરકાન્તને પૂછ્યું: “હરકાન્ત ! સાચું કહો ! મારા સમ ! મને પણ મૃત્યુના વિકલ્પનો હક છે કે નહિ ? મારા સમ ન કહો તો!”

હરકાન્ત ચૂપ રહ્યો. જાણે તેના મનમાં છુપાયેલા અનુકૂળ જવાબને બહાર કઢાવતી હોય તેમ તેને ચન્દ્રલેખાએ બાથમાં લઈ ભીંસ્યો. “મને નહિ કહો તો હવે, કહું છું, પાપ વહોરશો હોં. તમારા વિના તમારી પાસે પણ સાત વરસ જીવવા નથી ઈચ્છતી, તે તમો નહિ હો ત્યારે જીવવાની હતી એમ માનો છો? તમે મને તમારી સહભાગી બનવા માર્ગ નહિ બતાવો તો હું બલાત્કારથી તમને વળગીશ. તમે ઝેર લેતા હશો તો ઝૂંટવીને પી જઈશ. સિન્ધુમાં પડતા હશો તો વળગીને સાથે આવીશ. અને તેમ છતાં કોઈ યુક્તિથી મને દૂર કરશો તો નક્કી સમજજો, વધારે ભયંકર મૃત્યુ તમે મારે માટે મૂકી જવાના છો ! હરકાન્ત, આમ જુઓ, મને વધારે હેરાન ન કરો.”

“લેખા ?......” તેણે લેખાને બાથમાં લઈ બરડે પંપાળી.

“ત્યારે છે ના?! બસ મારા કાન્ત, આપણે સાથે મરીશું ! કહો, અને દેહાન્ત વિશે તમે શું નક્કી કર્યું હતું ?”