લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
દ્વિરેફની વાતો

હવે ભાઈબંધને બતાવીશ !” તેણે તો ઊભાં થતાંકને એ જ કટારી લઈ પેટમાં હુલાવી દીધી અને નીચે પડતાં ભેગા તેના પ્રાણ ચાલ્યા ગયા !

હવે થોડી વાર થઈ ત્યાં ચંદનસિંહની પત્ની થાળ લઈ ને આવી. તે જુએ છે તો શીતલસિંહ પેટમાં પોતાના ધણીની કટારી ખાઈને જમીન પર પડ્યો છે. નીચે લોહીનું ખાબડું ભરાયું છે. અને એનો હંસલો આ દુનિયા છોડીને ઊડી ગયો છે. બાઈ સમજી ગઈ કે ભૂંડી થઈ. આ કટારીએ સત્યાનાશ વાળ્યું. આ માણસે ભોંઠપમાં આ કામ કર્યું. પણ તેને થયું કે હવે હું મારા ધણીને શું કહીશ. ધણીનું વેણ પણ ગયું અને લાખ રૂપિયાનો ભાઈબંધ પણ ગયો. બાઈ એ કટારી કાઢી પોતાની છાતીમાં ભોંકી ને તે પણ ત્યાં પડી.

સવારે કૂકડો બોલવા થયો ત્યારે ચન્દનસિંહ ઘરભણી આવ્યો. ઉપર દીવા એમને એમ બળતા હતા. પણ ભાઈબંધને આવતો ન દીઠો, તેમ કાંઈ કોઈનો સંચળ પણ ન સંભળાયો. કમાડ ખખડાવ્યું પણ કોઈ એ ઉઘાડ્યું નહિ, તેમ કોઈએ જવાબ પણ ન આપ્યો. કાંઈક ભૂંડું થયું હશે એમ ધારી તે બારીએથી ઉપર ચડ્યો. અને જુએ છે તો થાળ ખાધા વિનાનો પડ્યો છે અને બન્ને જણાં એક જ કટારી ખાઈને પડ્યાં છે. ચન્દનસિંહ બધી વાત સમજી ગયો. તેને સમજાયું કે આ કટારીએ ભૂંડું કર્યું. ભાઈ જેવો ભાઈ ને સ્ત્રી જેવી સ્ત્રી ગઈ. હવે આ જીવતરને શું કરવું છે? હે ભગવાન! આવતો ભવ પણ ભાઈબંધ આપે તો આ જ આપજે અને સ્ત્રી આપે તો આ જ આપજે, એમ કહીને એ પણ કટારી ખાઈને મૂઓ. આમ ભગવાને ત્રણેયની લાજ રાખી. પણ ત્રણેયને મરવું પડ્યું. એમની લાજ રહી એવી સૌની રહેજો, અને એમને ભાઈબંધ મળ્યા એવા સૌને મળજો.