મેં કહ્યું : આ ચર્ચા શરૂ થાય તે પહેલાં મારે એક નિર્ણય કરાવવાનો છે. કોઈ સભ્ય કે અ–સભ્ય વાર્તા વાંચે ત્યારે વચાતાં દરમિયાન સવાલ પૂછી શકાય કે ટીકા કરી શકાય ? એમ થવાથી વાર્તારસને ક્ષતિ આવે અને તે વાર્તાલેખકને એટલી હાની થાય. આ પ્રશ્ન હજી સુધી મેહફિલ સમક્ષ આવ્યો નથી. ગયે વખતે ધમલાએ કરેલી વાર્તામાં વાર્તા દરમિયાન કોઈ કશું બોલ્યું નહોતું તે દાખલો ધ્યાનમાં લેવા યોગ્ય છે. આ જગાએ વાર્તાલેખક હાજર નથી એટલે તેનું હિત મારે સંભાળવાનું હોવાથી આ પ્રશ્ન મારે ઉઠાવવો પડ્યો છે.
પ્રમીલા : અને એમ કરીએ તો આપણી મેહફિલના નિવેદનમાં આપણે ક્યાંક વાર્તાનાં જ પાત્રો ગણાઈ જઈએ !
ધીરુભાઈ : આપણે વાર્તાનાં પાત્રો ગણાઈ જઇએ તેમાં તો મને કશું ખોટું લાગતું નથી. ગુજરાતમાં ઘણાએ સાક્ષરો બોલે છે ત્યારે જાણે તેમનો શબ્દે શબ્દ કોઈના કાનમાં ગુંજી રહેવાનો છે એવા ભાનથી દરેક શબ્દને ચીપીને બોલે છે—અલબત, બહાર બોલે છે ત્યારે. ઘરમાં એ ભાઈ બૈરીછોકરાં સાથે કેમ બોલતા હશે તે હું જાણતો નથી. ગુજરાતના કેટલાક લેખકો, જાણે પોતાનો દરેક કાગળ સંઘરાવાનો છે એમ ધારીને લખતો હોય છે. ગુજરાતમાં ઘણાંએ માણસો જાણે જાહેરમાં તેમની દરેક સ્થિતિનો કોઈ ફોટો પાડી લેવાનું હોય તે રીતે દરેક હિલચાલ કરે છે, અને એવી રીતે બેઠક લે છે. શાસ્ત્રોએ કહ્યું છે કે દરેક ક્ષણે મરવાના છીએ એમ ધારી ધર્મ કરવો. મહાત્માજી કહે છે દરેક ક્ષણનો હિસાબ આપી શકીએ તેમ રહેવું. ત્યારે ઉપર કહી ગયો તેવાં માણસો દરેક ક્ષણે પોતાના કલાત્મક અમરત્વનો વિચાર કરતાં હોય છે. તેમ આપણે પણ વાર્તાનાં પાત્રો બનવાની ધાસ્તી દરેક ક્ષણે