લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડલ

રાખીશું તો તેમાં કાંઈ બગડી જવાનું નથી. વધારે ખરાબ તો એ છે કે ઘણી વાર્તાઓમાં વાર્તાનાં પાત્રો જાણતાં હોય છે કે અમે વાર્તાનાં પાત્રો છીએ, અને અમારે અમુક કામ કરવાનું છે, અને અમુક અંત લાવવાનો છે. તેના જેટલું આ ખરાબ નથી.

ધીરુબહેન : વાર્તામંડળમાં જો તમને બોલવા દીધા હોય તો એક પણ સભ્ય ટકી શકે નહિ એમ માનું છું.

ધનુભાઈ : એટલા માટે તો કોઈ નાસી ન શકે એવાં માણસોનું મંડળ કર્યું છે.

પ્રમીલા: ધમલા, તું કેમ કાંઈ બોલતો નથી? ધનુભાઈ આવી લાંબી લાંબી વાતો કરે તે સામે વાંધો કેમ ઉઠાવતો નથી ?

ધમલો: બહેન ! તેમાં મારે શું? હું મારું કામ કરું છું. અને તમે વારતા માંડશો એટલે ધ્યાન આપીશ. ત્યાંસુધી ગમે તે વાતચીત કરો તેમાં મારે શું ?

ધીરુબહેન : ત્યારે હું ચુકાદો આપું છું. આવડી મોટી હું, ચોપડીમાં સમાઈ જઈશ એવી મને બીક જ નથી. અને વાર્તા વંચાતાં દરમિયાન ટીકા કરવાની, પ્રશ્ન કરવાની સૌને છૂટ છે. એમ ન કરીએ તો પછી આ મેહફિલ કેમ ગણાય ? એમ ને એમ તો વારતા ક્યાં કોઈ પોતાની મેળે સળંગ નથી વાંચી શકતું ? એમ સામસામા ઘા ઝીલતાં ઝીલતાં વાર્તા વાંચવી કે કહેવી એમાં જ વાર્તાની વધારે લિજ્જત છે, છતાં કોઈને ખાસ કારણસર વચમાં બોલવાની બંધી કરાવવી હોય તો તેવી દરખાસ્ત લાવી શકે છે.

ધનુભાઈ : ત્યારે મુકામ પ્રસ્થાનનો મારો વાંધો નોંધો.

ધીરુબહેન : ગતિ અને સ્થિતિ, તમે જ કહેતા હતા કે હાલના નવા શોધો પ્રમાણે અર્થહીન છે. રાજકોટ પૃથ્વી પર છે અને એ પૃથ્વી ફર્યા જ કરે છે, છતાં મુકામ રાજકોટ