લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
દ્વિરેફની વાતો

લલિતા : લ્યો હવે માની જાઓ. એકવાર કબૂલ કરીને ના શેની પાડો છો ?

અનન્ત૦ : પરણવાની કબૂલાત આપી છે, મીઢળની નહિ !

લલિતા : તમે તો કહેશો પરણવાની કબૂલાત આપી છે, પણ પાટલે બેસવાની નહિ, હસ્તમેળાપની નહિ, સપ્તપદીની નહિ, તે કાંઈ ચાલે?

અનન્ત૦ : પણ પરણવામાં આની શી જરૂર છે?

લલિતા : તમારા ભાઈબંધો જેમ જરા પણ ઉપયોગ વિના કાંડે ઘડિયાળ બાંધે છે, તેમ પરણવામાં જરા પણ ઉપયોગ વિના આ બાંધવાની જરૂર હોય છે. તમે કબૂલ કર્યું છે કે ઘેર પાછાં જઈએ ત્યાંસુધી મારું બધું કહ્યું કરવું, અત્યાર સુધી મેં મારી સત્તાનો ઉપયોગ નથી કર્યો. અત્યારે મારી સત્તાથી કહું છું, આ બાંધવા દો.

અનન્ત૦ : ત્યારે એમ જ કહે ને ! નકામી દલીલ શા સારુ કરે છે?

લલિતા અનન્ત૦ને મીઢળ બાંધે છે. ત્યાં ખડકીમાંથી “કાં વરરાજા ? ક્યારે પહોંચાડ્યાં ?” એવો ટહુકો સંભળાય છે અને તે પછી તરત જ તે ટહુકો કરનાર પરશોતમ ભટ્ટ પાંચેક વરસના છોકરાને આંગળીએ ઝાલી દોરતા પ્રવેશ કરે છે. પરશોતમ ભટ્ટની ઉંમર પંચાવનેક વરસની છે. તેમણે નાની પોતડી પહેરી છે, અને બાકી અંગે ઉઘાડા છે. તેમને વાત કરતાં વાતના અર્થ પ્રમાણે ધીમો ઉતાવળો અવાજ કરવાની ટેવ છે. સાથેના છોકરાને એક ધોતિયાની ગાતડી વાળી છે, અને તેની આંખમાં આંજણના લપેડા છે.

પરશો૦ : ( ફરીથી ) કાં વરરાજા. ક્યારે પહોંચાડ્યાં?

અનન્ત૦ : આવો, આ રાતના આવીને ગોઠવાઈ ગયા છીએ.

પરશો૦ : કેમ બહેન ! ખુશીમાં તો ખરી ? મને ઓળખછ ? હું શું થાઉં ?