લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
દ્વિરેફની વાતો


લલિતા : ક્યાં ગયાં ? તમે ઢેઢના છોકરાને આશાપુરીમાં આણ્યા એ વાત અહીં પહોંચતાં જ બધાં કંઈ કંઈ બહાનું કાઢીને, ને કેટલાંક તો બહાનું કાઢ્યા વિના જ, પોતપોતાનો સામાન લઈ લાગતાં વળગતાં સગાંમાં ચાલતાં થયાં !

અનન્ત૦ : મેં તો જાણ્યું કે પેલા પૂજારીઓ જ એકલા ભડકણ હશે. આ તો સૌ સરખાં નીકળ્યાં !

લલિતા : સરખાં કેમ ન નીકળે ? ન અભડાવાથી નીચું થઈ જવાતું હોય, ત્યાં કોણ ન અભડાય ?

અનન્ત૦ : એ તો ઠીક, પણ તું તો નથી ભડકી ને ! મને વાટ બધી એ એક જ વિચાર આવતો’તો, કે તને વચન આપેલું કે આટલા દિવસ તું કહીશ એમ ચાલીશ, એ વચન આવી રીતે તૂટ્યું એમ તો હું નથી કહેતો, પણ એક બાજુ રહી ગયું !

લલિતા : હું ક્યારની એ વિચાર કરું છું, કે તમારે આમે ય પરણવું નહોતું, એક ફક્ત માબાપ કરી ગયાં છે તે ખાતર, ને મારા આગ્રહની ખાતર, કબૂલ્યું હતું, તે ક્યાંક તમારું ધાર્યું ન થઈ જાય !

અનન્ત૦ : તને નણંદ થવાના કોડ અધૂરા રહી જશે એમ કેમ નથી કહેતી ?

બહારથી પરશોતમનો ધીમો અવાજ આવે છે.
 

અવાજ : કેમ વરરાજા આવ્યા ?

લલિતા : હા, આવો માસા, ઉઘાડું છું. ( ઉઘાડવા જતાં જતાં ધીમે અવાજે ) અત્યાર સુધીમાં ત્રણ વાર આવી ગયા !

લલિતા ખડકી ઉઘાડે છે. પરશોતમ સવારના પહેરવેશ ઉપરાંત હાથમાં લાકડી ને ઓઢેલી પછેડી સાથે દાખલ થાય છે. દાખલ થતાં જ બહુ જ લાગણી અને મમત્વના અવાજથી—

પરશો૦ : ભૂંડા ! તેં આ શું કર્યું ? એક પરણવા આવ્યો’તો એટલા દાડા તો સાચવી લેવું’તું ?